ઇન્દોરમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટી20
શિખર ધવન
ઇન્ડિયા-શ્રીલંકા વચ્ચેની પહેલી ટી૨૦ મૅચ વરસાદને કારણે રદ થઈ હતી. ત્રણ ટી૨૦ મૅચની સિરીઝમાંની બીજી મૅચ આજે ઇન્દોરમાં રમાવાની છે અને આ મૅચ જીતીને બન્ને ટીમ સિરીઝ પર કબજો જમાવવાનો પ્રયાસ કરશે. ગુવાહાટીની મૅચ વખતે બન્ને ટીમના કૅપ્ટન માત્ર ટૉસ કરવા માટે આવ્યા હતા, પણ બૅટ અને બૉલની કમાલ જોવાથી દર્શકો વંચિત રહી ગયા હતા. આજે રમાનારી મૅચમાં જસપ્રીત બુમરાહ અને શિખર ધવન કેવી કમાલ કરી બતાવે છે એ જોવાનું રહેશે.
ટીમ ઇન્ડિયા પાસે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં બુમરાહ સિવાય નવદીપ શૈની, શાર્દુલ ઠાકુર જેવા પ્લેયરો દ્વારા એક્સપરિમેન્ટ્સ કરવામાં આવશે. મોહમ્મદ શમી, દીપક ચાહર અને ભુવનેશ્વર કુમારની ગેરહાજરીમાં આ બોલર્સ ડેથ ઓવરમાં બુમરાહ સાથે મળીને કેવું પર્ફોર્મ કરે છે એ જોવું રહ્યું. બૅટિંગ ડિપાર્ટમેન્ટમાં વિરાટ કોહલી, શિખર ધવન, કે. એલ. રાહુલ, રવીન્દ્ર જાડેજા જેવા અનુભવી પ્લેયરો ટીમને જીત અપાવવા મોટો સ્કોર ઊભો કરવાનો પ્રયાસ કરશે.
ADVERTISEMENT
સામા પક્ષે લસિથ મલિન્ગાની ટીમ પૂરી તૈયારી સાથે ટીમ ઇન્ડિયા સામે રમવા ઊતરશે. ૨૦૧૮ના ઑગસ્ટમાં છેલ્લે ટી૨૦ રમેલો ઍન્જેલો મૅથ્યુઝ ફરી ટીમમાં આવ્યો છે. પહેલી ટી૨૦ની ટીમ બીજી મૅચમાં પણ યથાવત્ રહેશે. શ્રીલંકા છેલ્લે ઑસ્ટ્રેલિયા સામે ત્રણ-ઝીરોથી ટી૨૦ સિરીઝ હારી ગઈ હતી. ઇન્ડિયા સામે શ્રીલંકા અત્યાર સુધીમાં ૧૭ ટી૨૦ રમ્યું છે, જેમાં ભારત ૧૧ મૅચ જીત્યું છે. જોવા જઈએ તો બન્ને ટીમોને આ સિરીઝની મદદથી ટી૨૦ વર્લ્ડ કપ માટે તૈયારી કરવાની અને પોતાની ટીમના ફૉર્મમાં ચાલી રહેલા પ્લેયરોની પસંદગી કરવાની તક મળી રહેશે.
ટીમ ઇન્ડિયામાંથી હિટમૅન રોહિત શર્મા અને મોહમ્મદ શમીને આ સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે.