ઑફ ડ્યુટી ઑફિસરે ઘાયલ મદનિયાને સીપીઆર પ્રોસિજર દ્વારા નવજીવન આપ્યું
ગયા રવિવારે થાઇલૅન્ડના ચંથાબુરી પ્રાંતમાં ઘરે રજા માણતાં રેસ્ક્યુ વર્કર મના સિરવટેને ઇમર્જન્સી કૉલ આવ્યો. જંગલમાં હાથીઓનું ઝુંડ રસ્તો ઓળંગી રહ્યું હતું ત્યારે એક મદનિયું મોટરસાઇકલની અડફેટે આવીને ઘાયલ થયું હતું. બેભાન થઈ ગયેલા મદનિયાનો શ્વાસોચ્છ્વાસ સાવ ધીમો પડી ગયો હતો. ઘાયલ માણસોની સારવારની તાલીમ લેનારા મના સિરવટે માટે રેસ્ક્યુ વર્કર તરીકે ૨૬ વર્ષની કારકિર્દીમાં પશુબાળની સારવારનો પહેલો અનુભવ હતો, પરંતુ જે સહજતા અને સ્વાભાવિકતાથી આગ, ધરતીકંપ કે અકસ્માતોમાં ઈજાગ્રસ્તો કે બેભાન થયેલા માણસોને સારવાર આપતા હોય એટલી સહજતા અને સ્વાભાવિકતાથી હાથીના બચ્ચાના શ્વાસોચ્છ્વાસ ફરી શરૂ કરીને એને નવજીવન આપ્યું હતું. માણસો માટે કરતા હોય એવી રીતે કાર્ડિયો પલ્મોનરી રિસસીએશન (સીપીઆર) આપ્યું હતું. સારવારને પગલે દસેક મિનિટમાં મદનિયું ઊભું થઈને હરવાફરવા માંડ્યું ત્યાર પછી એનો એની માતા જોડે મેળાપ કરાવવામાં આવ્યો હતો.