Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સિંધુ જળ સંધિ થકી કાશ્મીરને મોટું નુકસાન? પાકિસ્તાને કેવી રીતે લીધો સૌથી મોટો ફાયદો, જાણો સમગ્ર મામલો

સિંધુ જળ સંધિ થકી કાશ્મીરને મોટું નુકસાન? પાકિસ્તાને કેવી રીતે લીધો સૌથી મોટો ફાયદો, જાણો સમગ્ર મામલો

Published : 06 July, 2026 07:16 PM | IST | Jammu and kashmir
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સિંધુ જળ સંધિને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ સંધિને કારણે ભારત, ખાસ કરીને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને જળ સંસાધનોનો પૂરતો લાભ મળ્યો નથી, જ્યારે પાકિસ્તાનને મોટો હિસ્સો મળ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પાકિસ્તાને તાજેતરમાં ઇસ્લામાબાદના જિન્ના કન્વેન્શન સેન્ટરમાં એક આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કર્યું હતું. આ સેમિનારનું શીર્ષક હતું `સિંધુ જળ સંધિ: શાંતિ અને પ્રાદેશિક સ્થિરતાનું સાધન`.  આ કાર્યક્રમમાં પાકિસ્તાને દુનિયાના કેટલાક દેશોના નિષ્ણાતોને આમંત્રિત કર્યા હતા. સેમિનાર દરમિયાન પાકિસ્તાનના એક ડઝનથી વધુ નેતાઓએ અલગ-અલગ રીતે ભારત સામે નિવેદનો આપ્યા. તેમણે આરોપ લગાવ્યો કે ભારત પાણીને હથિયાર તરીકે ઉપયોગમાં લઈ રહ્યું છે. પાકિસ્તાને આ મુદ્દાને એવી રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો, જેમ તે પરમાણુ હથિયારોના મુદ્દે આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાનો પ્રયાસ કરે છે. પાકિસ્તાને સિંધુ જળ સંધિને એશિયાની સ્થિરતા અને પરમાણુ ટકરાવ સાથે પણ જોડવાનો પ્રયાસ કર્યો. બીજી તરફ ભારતનું માનવું છે કે 1960માં થયેલી સિંધુ જળ સંધિ આજની હાઇડ્રોલૉજી, ટૅક્નોલૉજી અને સુરક્ષા સંબંધિત હકીકતોને ધ્યાનમાં રાખીને હવે પૂરતી યોગ્ય રહી નથી.

પાકિસ્તાન તરફથી આકરા નિવેદનો



સિંધુ જળ સંધિ મુદ્દે યોજાયેલા કાર્યક્રમમાં પાકિસ્તાનના જલવાયુ પરિવર્તન મંત્રી ડૉ. મુસાદિક મલિકે કહ્યું, "જો તેઓ (ભારત) આવું કરશે તો અમે તેમના હાથ કાપી નાખીશું." પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું, "ક્યાં તો લોહી વહેશે અથવા પાણી." પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (DG ISPR)ના મહાનિર્દેશક લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ કહ્યું, "જો તેમણે પાણી રોક્યું તો અમે તેમનો શ્વાસ રોકી દઈશું."
 
ભારતના સંશોધક અને જિયોપોલિટિકલ નિષ્ણાત ઇમરાન ખુર્શિદે લખ્યું છે કે અહમદ શરીફ ચૌધરીનું નિવેદન લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદના અગાઉના નિવેદન સાથે મળતું આવે છે. તેમના જણાવ્યા મુજબ, બંનેના નિવેદનોમાં એકસરખી ભાષા અને ધમકીભર્યો સ્વર જોવા મળે છે. આવા ઉશ્કેરણીજનક નિવેદનોને કારણે બંને દેશો વચ્ચેનું તણાવ વધુ વધ્યું છે. સાથે જ, આ નિવેદનો પાકિસ્તાનના અથડામણભર્યા વલણને વધુ સ્પષ્ટ રીતે દર્શાવે છે.
 
ઇમરાન ખુર્શિદ નવી દિલ્હીની ઇન્ટરનેશનલ સેન્ટર ફોર પીસ સ્ટડીઝ (ICPS)માં એસોસિયેટ રિસર્ચ ફેલો તરીકે કાર્યરત છે. તેઓ ભારત-અમેરિકા સંબંધો, ઇન્ડો-પેસિફિક અભ્યાસ અને દક્ષિણ એશિયાની સુરક્ષા સંબંધિત મુદ્દાઓના નિષ્ણાત માનવામાં આવે છે. તેમણે યુરેશિયન ટાઈમ્સમાં લખેલા લેખમાં જણાવ્યું છે કે 1960માં વિશ્વ બૅન્કની મધ્યસ્થતામાં થયેલી સિંધુ જળ સંધિ ભારત માટે ન્યાયસંગત રહી નથી. તેમના મત મુજબ, આ સંધિને કારણે ભારતને લાંબા ગાળે મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. તેમણે લખ્યું છે કે ઉપરવાસમાં આવેલો દેશ હોવા છતાં ભારતને આ સંધિ હેઠળ પાણીમાં ખૂબ ઓછો હિસ્સો મળ્યો હતો. સિંધુ જળ સંધિ હેઠળ સિંધુ નદી પ્રણાલીની નદીઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે વહેંચવામાં આવી હતી. ભારતને પૂર્વ તરફની રાવી, બ્યાસ અને સતલજ નદીઓ પર વિશેષ અધિકાર આપવામાં આવ્યા હતા. જ્યારે પાકિસ્તાનને પશ્ચિમ તરફની સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓના પાણી પર અધિકાર આપવામાં આવ્યો હતો.


ભારતને સિંધુ જળ પર ઓછો અધિકાર કેમ મળ્યો?

ઇમરાન ખુર્શિદે લખ્યું છે કે સિંધુ જળ સંધિમાં પાણીનું વિતરણ ટકાવારીના આધારે સ્પષ્ટ રીતે નક્કી કરવામાં આવ્યું નહોતું. પરંતુ નદીઓના સરેરાશ વાર્ષિક પાણીના પ્રવાહના આધારે પાકિસ્તાનને વાસ્તવમાં વધારે હિસ્સો મળ્યો. તેમના જણાવ્યા મુજબ, છ નદીઓ ધરાવતી સિંધુ નદી પ્રણાલીના કુલ પાણીમાંથી પાકિસ્તાનને લગભગ 80.52 ટકા હિસ્સો મળ્યો.  જ્યારે ભારતને માત્ર 19.48 ટકા પાણીનો જ હિસ્સો મળ્યો હતો.
 
આ ઉપરાંત પશ્ચિમ તરફની નદીઓ પર ભારતને માત્ર મર્યાદિત ઘરેલુ, કૃષિ અને અન્ય બિન-ઉપભોક્તા ઉપયોગની જ મંજૂરી આપવામાં આવી છે. ભારતને આ નદીઓ પર માત્ર `રન-ઑફ-ધ-રિવર` પ્રકારના જલવિદ્યુત પ્રૉજેક્ટ બનાવવાની છૂટ છે. આ પ્રૉજેક્ટના ડિઝાઇન અને સંચાલન પર પણ અનેક પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ઇમરાન ખુર્શિદના જણાવ્યા મુજબ, આ નિયંત્રણોને કારણે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના વિકાસની સંભાવનાઓ પર મોટી અસર પડી છે. ખાસ કરીને જલવિદ્યુત ઉત્પાદન, પાણીનો સંગ્રહ, સિંચાઈ અને વ્યાપક આર્થિક વિકાસ જેવા ક્ષેત્રોમાં આ પ્રદેશોને નુકસાન થયું છે.
 
આ જ કારણથી જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ સિંધુ જળ સંધિને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકો માટે સૌથી અન્યાયી કરાર ગણાવ્યો છે. તેમણે અનેક વખત કહ્યું છે કે આ સંધિ પર હસ્તાક્ષર કરતાં પહેલાં આ પ્રદેશના લોકોની કોઈ સલાહ લેવામાં આવી નહોતી. તેમના કહેવા મુજબ, આ સંધિના કારણે સ્થાનિક લોકો પોતાના જળ સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ કરી શક્યા નથી. જો આ અસમાન સંધિ ન હોત, તો અનેક વિકાસ યોજનાઓ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનું ભવિષ્ય સંપૂર્ણપણે બદલી શકી હોત.


આગળ શું થશે?

હવે સિંધુ જળ સંધિનો મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ ચર્ચાનો વિષય બની રહ્યો છે. બંને દેશો આ મુદ્દે પોત-પોતાના દાવા અને દલીલો રજૂ કરી રહ્યા છે. આગામી સમયમાં આ મુદ્દે બંને દેશોનું વલણ અને આગળની કાર્યવાહી પર સૌની નજર રહેશે. સિંધુ જળ સંધિને લઈને થનારા કોઈપણ નિર્ણયની અસર બંને દેશોના સંબંધો પર પડી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

06 July, 2026 07:16 PM IST | Jammu and kashmir | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK