સુરક્ષા દળોની કાર્યવાહીમાં ૨૭ જણનાં મોત બાદ લોકોમાં રોષ : પાકિસ્તાન વિરુદ્ધ મહાઆંદોલનની તૈયારીઃ ઇન્ટરનેટ સર્વિસ બંધ, સર્વત્ર સેનાના જવાનો તહેનાત
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
પાકિસ્તાને પચાવી પાડેલા જમ્મુ અને કાશ્મીર (PoJK)માં સ્થાનિક કાર્યકરો અને જૉઇન્ટ અવામી ઍક્શન કમિટી (JAAC)ના નેતાઓએ રાવલકોટમાં પાકિસ્તાનના સૈન્ય અને સુરક્ષા દળો પર હિંસક કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યા બાદ તનાવમાં તીવ્ર વધારો થયો છે જેના કારણે સમગ્ર પ્રદેશમાં નવી અશાંતિ ફેલાઈ છે. JAACએ એની અધૂરી ૩૮ માગણીઓના સમર્થનમાં આજે લૉકડાઉન અને વિશાળ વિરોધ-પ્રદર્શનનું આહ્વાન કર્યું છે.
શુક્રવારે પાકિસ્તાન રેન્જર્સ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં એક પ્રદર્શનકારી અને JAACના મેમ્બર શાહઝૈબ હબીબનું મૃત્યુ થયું હતું. તેના અંતિમ સંસ્કાર માટે રાવલકોટમાં હૉસ્પિટલની બહાર ભેગા થયેલા શોકગ્રસ્તો અને પ્રદર્શનકારીઓ પર સુરક્ષા-કર્મચારીઓએ ગોળીબાર અને તોપમારો કર્યો હતો. આ કાર્યવાહીમાં ૨૭ લોકો માર્યા ગયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. કેટલાક સ્થાનિક લોકોએ દાવો કર્યો છે કે ૧૦૦થી વધુ વિરોધીઓ માર્યા ગયા છે. JAACએ વધુમાં દાવો કર્યો છે કે હૉસ્પિટલ પરિસરમાંથી લગભગ ૧૧૦ સ્થાનિક લોકોની અટકાયત કરવામાં આવી હતી અને સુરક્ષા-કાર્યવાહી બાદ ઘણા લોકો ગુમ છે. PoJKમાં ભૂતકાળમાં પણ હિંસક ઘટનાઓ બની છે જેમાં સુરક્ષા દળો દ્વારા JAAC નેતાની હત્યા, ઇન્ટરનેટ બ્લૅકઆઉટ અને ગ્રુપ પર પ્રતિબંધનો સમાવેશ છે.
