PoKના મુદ્દે રાજનાથ સિંહના નિવેદનના જવાબમાં નૅશનલ કૉન્ફરન્સના નેતાએ કહ્યું કે પાકિસ્તાને બંગડી નથી પહેરી, તેમની પાસે ઍટમબૉમ્બ છે
ફારૂક અબ્દુલ્લા
પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરને ભારતમાં ભેળવી દેવાના મુદ્દે એક સમાચાર એજન્સીને આપેલી મુલાકાતમાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે આપેલા નિવેદનના પગલે જમ્મુ અને કાશ્મીરની નૅશનલ કૉન્ફરન્સ પાર્ટીના નેતા ફારુક અબદુલ્લાએ વિવાદિત નિવેદન આપ્યું છે. રાજનાથ સિંહે કહ્યું હતું કે ‘પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર પર ભારત એનો દાવો કદી નહીં છોડે, એ પ્રદેશ આપણો જ હતો અને રહેશે. એના પર બળપૂર્વક કબજો કરવાની જરૂર નહીં પડે, કારણ કે કાશ્મીરની પ્રગતિ જોઈને ત્યાંના લોકો એક દિવસ ભારત સાથે જોડાઈ જવાની માગણી કરશે.’ આ મુદ્દે બોલતાં ફારુક અબદુલ્લાએ કહ્યું હતું કે ‘જો સંરક્ષણપ્રધાન એવું કહેતા હોય કે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના લોકો જ ભારતમાં સામેલ થવાની માગણી કરશે તો તેઓ આ મુદ્દે ભલે આગળ વધે, તેમને કોણ રોકી રહ્યું છે? પણ મારે એ કહેવું છે કે તેઓ એ ન ભૂલે કે પાકિસ્તાને બંગડીઓ પહેરી નથી, તેમની પાસે પણ ઍટમબૉમ્બ છે અને એ ઍટમબૉમ્બ દુર્ભાગ્યપણે આપણા પર જ પડશે.’