Operation Sindoor: સુરક્ષા કારણોસર, શ્રીનગર, જમ્મુ સહિત ૧૮ એરપોર્ટ બંધ કરવામાં આવ્યા; ૨૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી; ઇન્ડિગો-એર ઇન્ડિયા અને ડાયલે એડવાઇઝરી જારી કરી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
જમ્મુ અને કાશ્મીર (Jammu-Kashmir)ના પહેલગામ (Pahalgam)માં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack)નો બદલો લેવા માટે ભારતીય સેના (Indian Army)એ ૬-૭ મેની રાત્રે પાકિસ્તાન (Pakistan)માં આવેલા નવ આતંકવાદી કેમ્પો પર મોટો હુમલો કર્યો અને તેમને નષ્ટ કરી દીધા. `ઓપરેશન સિંદૂર` (Operation Sindoor) હેઠળ પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી કેમ્પો પર ભારત દ્વારા મિસાઇલ હુમલા બાદ, બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે અને દેશમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ કારણે, ઉત્તર અને પશ્ચિમ ભારતના ઓછામાં ઓછા ૧૮ એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા છે. તેમજ ૨૦૦ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
`ઓપરેશન સિંદૂર` પછી ફ્લાઇટ ઓપરેશન્સ પર ભારે અસર પડી છે. અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એકલા ઇન્ડિગો (Indigo)એ લગભગ ૧૬૫ ફ્લાઇટ્સ રદ કરી છે. દિલ્હી (Delhi) એરપોર્ટથી ૩૫થી વધુ ફ્લાઇટ્સ (૨૩ પ્રસ્થાન, ૮ આગમન અને ૪ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ) પણ રદ કરવામાં આવી છે.
ADVERTISEMENT
૧૮ એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા છે. આ બંધ કરાયેલા એરપોર્ટમાં શ્રીનગર (Srinagar), જમ્મુ (Jammu), લેહ (Leh), અમૃતસર (Amritsar), પઠાણકોટ (Pathankot), ચંદીગઢ (Chandigarh), જોધપુર (Jodhpur), જેસલમેર (Jaisalmer), શિમલા (Shimla), ધર્મશાલા (Dharamshala) અને જામનગર (Jamnagar)નો સમાવેશ થાય છે.
હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઇન્ડિગો એરલાઇન્સ (IndiGo Airlines)એ મંગળવારે શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંદીગઢ, ધર્મશાલા, બિકાનેર (Bikaner) અને જોધપુરની બધી ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. આ માહિતી આપતા એરલાઇન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘દેશભરમાં ફ્લાઇટ્સના સમયપત્રકમાં ફેરફાર થઈ શકે છે. ઉપરાંત, ઇન્ડિગોએ મુસાફરોને એરપોર્ટ પર જતા પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની સલાહ આપી છે, જેથી અસુવિધા ટાળી શકાય.’ તમને જણાવી દઈએ કે કુલ ૧૬૫ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
ફ્લાઇટ રદ થયા પછી, ઘણી એરલાઇન્સે નિવેદનો જારી કર્યા અને પોતાની સ્પષ્ટતા આપી. એર ઇન્ડિયા (Air India)એ સોશ્યલ મીડિયા પર લખ્યું કે, ‘એર ઇન્ડિયાએ 10 મેના રોજ સવારે 5:29 વાગ્યા સુધી જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભૂજ (Bhuj), જામનગર (Jamnagar), ચંદીગઢ અને રાજકોટ (Rajkot)ની ફ્લાઇટ્સ રદ કરી છે. મુસાફરોએ ટિકિટ રદ કરવા અથવા ફરીથી શેડ્યૂલ કરવા માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.’
સ્પાઇસજેટ (SpiceJet)એ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ઇન્ડિગો, અકાસા એર (Akasa Air) અને એર ઇન્ડિયા એક્સપ્રેસ (Air India Express)એ પણ ઘણી ફ્લાઇટ્સ રદ કરી છે અને મુસાફરોને સંપૂર્ણ રિફંડ અથવા વૈકલ્પિક ફ્લાઇટનો વિકલ્પ આપવાનું વચન આપ્યું છે. જ્યારે કતાર એરવેઝ (Qatar Airways)એ પાકિસ્તાની એરસ્પેસ (Pakistani airspace) બંધ થવાને કારણે પાકિસ્તાન જતી ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે.

