વાઘા બૉર્ડર પર રખાયેલો સમઝૌતા એક્સપ્રેસનો ડબ્બો ભારતે પાછો માગ્યો
સમઝૌતા એક્સપ્રેસનો
પાંચ મહિના પહેલાં પાકિસ્તાન સાથે ટ્રેનવ્યવહાર બંધ કરાયો ત્યારથી વાઘા સરહદે પડેલો સમઝૌતા એક્સપ્રેસનો ડબ્બો પાકિસ્તાન પાસે પાછો માગવામાં આવ્યો છે. રેલવે મંત્રાલયના અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું કે અમારી વિનંતીને આધારે સમઝૌતા એક્સપ્રેસનો ડબ્બો વહેલી તકે પાછો મોકલવાનો અનુરોધ વિદેશ મંત્રાલયે પાકિસ્તાનની સરકારને કર્યો છે.
જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની ૩૭૦મી કલમ રદ કરવામાં આવ્યા પછી સંબંધોમાં તંગદિલીને પગલે ૨૦૧૯ની ૮ ઑગસ્ટથી પાકિસ્તાને સમઝૌતા એક્સપ્રેસનો વ્યવહાર બંધ કર્યો હતો. ભારતના બંધારણની ૩૭૦મી કલમ રદ કરવાને કારણે સલામતીનાં કારણો દર્શાવતાં અચાનક ૮ ઑગસ્ટે સમઝૌતા એક્સપ્રેસનો પ્રવાસ અટકાવાતાં ૧૧૭ મુસાફરો રઝળી પડ્યા હતા. બપોરે ૧૨.૩૦ વાગ્યે અટ્ટારી સ્ટેશને પહોંચનારી ટ્રેન પાછી લાવવા માટે ભારતે એન્જિન અને કર્મચારીઓ મોકલ્યા પછી સાંજે ૫.૧૫ વાગ્યે મુસાફરો પાછા આવ્યા હતા.