Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જયપુરમાં હાઈ ટેન્શન વાયર સાથે અથડાવાથી બસમાં આગ : બેનાં મોત અને ૧૨ લોકો દાઝ્યા

જયપુરમાં હાઈ ટેન્શન વાયર સાથે અથડાવાથી બસમાં આગ : બેનાં મોત અને ૧૨ લોકો દાઝ્યા

Published : 29 October, 2025 11:43 AM | IST | Jaipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બસની ઉપર સિલિન્ડર લાદેલાં હતાં એમાં થયેલા વિસ્ફોટ અને કરન્ટ બન્નેને કારણે આગ ભડકી

ઘટનાસ્થળ

ઘટનાસ્થળ


મંગળવારે સવારે જયપુર પાસે શાહપુરામાં એક સ્લીપર બસમાં આગ લાગી હતી. આ બસ નૅશનલ હાઇવેથી નીચે ઊતરીને ટોડી ગામ તરફ જઈ રહી હતી ત્યારે બસની ઉપર રાખેલો સામાન હાઈ ટેન્શન વાયર સાથે ઘસાયો હતો. આ ઘર્ષણથી તરત જ બસમાં આગ લાગી હતી, કેમ કે બસની છત પર સિલિન્ડર પણ હતાં જેનાથી ધમાકા થયા હતા. તમામ યાત્રીઓ બસમાંથી નીચે ઊતરે એ પહેલાં આખી બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી.

શાહપુરામાં આવેલી આ બસ ઉત્તર પ્રદેશના બાગપતથી આવી હતી. એમાં ઈંટની ભઠ્ઠીઓમાં કામ કરવા માટે કામગારો આવી રહ્યા હતા. આગમાં બે મજૂરોનાં મૃત્યુ થયાં હતાં અને લગભગ ૧૨ લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. દાઝેલા લોકોને જયપુરની સવાઈ માનસિંહ હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.



બસ કાચા રોડ પરથી પસાર થઈ રહી હતી અને એના પર ૧૧ કિલોવૉટનો ઓવરહેડ વાયર પસાર થઈ રહ્યો હતો. એ વાયર ૧૭ ફુટની ઊંચાઈએ હતો જે નિયમ મુજબ બરાબર હતો, પરંતુ બસ ડબલ ડેકર હોવાથી એની ઊંચાઈ વધુ હતી એટલું જ નહીં; બસની ઉપર સિલિન્ડર, બાઇક અને ઘરેલુ સામાન રાખવામાં આવ્યાં હતાં જે વાયરના સંપર્કમાં આવતાં આગ લાગી હતી. આગ લાગતાં ટોડી ગામના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. તેમના કહેવા મુજબ આગ સાથે ૩ વાર ધડાકા પણ થયા હતા. બસની એક તરફ ઇમર્જન્સી ગેટ દેખાતો હતો, પરંતુ એને વેલ્ડિંગ કરીને લૉક કરી દેવામાં આવ્યો હતો. લગભગ ૨૫ મિનિટ બાદ અગ્નિશામક દળો પહોંચ્યાં હતાં જેને કારણે પૂરી બસ બળીને ખાખ થઈ ગઈ હતી.


જયપુર RTOનું નો લગેજ અભિયાન શરૂ 

આ ઘટના પછી તરત જ જયપુર રોડ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) દ્વારા ‘નો લગેજ’ અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. બસની છત પર સામાન રાખવો એ નિયમની વિરુદ્ધ છે. રાજ્યની બસો પર તો સામાન મૂકવાની વ્યવસ્થા હોતી જ નથી, પરંતુ પ્રાઇવેટ બસો અને સ્લીપર બસો છતની ઉપર એવું માળખું બનાવે છે જ્યાં મુસાફરો પણ બેસી શકે અને સામાન પણ મુકાય. શાહપુરા બસની આગમાં છત પર લાગેલો સામાન આગનું કારણ બન્યો હતો એટલે જયપુરના RTO ઇન્સ્પેક્ટરે તમામ ઇન્સ્પેક્ટરોને નિર્દેશ કર્યો હતો કે હવેથી છત પર સામાન રાખતી કે રાખવાની વ્યવસ્થા ધરાવતી તમામ બસોને તરત સીઝ કરવામાં આવે અને ડ્રાઇવર અને માલિક બન્ને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2025 11:43 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK