નેપાલને ૧૦ લાખ કોવિડ વૅક્સિન મોકલશે ભારત
તસવીર સૌજન્ય જાગરણ
ભારત કુલ ૧૦ લાખ કોવિડ વૅક્સિન નેપાલને મોકલશે, જે આજે કાઠમાંડુ પહોંચશે એમ નેપાલના સ્વાસ્થ્ય અને જનસંખ્યા ખાતાના પ્રધાન હૃદેશ ત્રિપાઠીએ ગઈ કાલે જણાવ્યું હતું.
નેપાલસ્થિત ભારતીય રાજદૂત વિનય મોહન કવાત્રા સાથે પત્રકાર પરિષદને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે ભારત સરકાર સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલી કોવિડ વૅક્સિન નેપાળને આપશે.
ભારત વૅક્સિનનો પ્રથમ જથ્થો આજે સવારે નેપાલ માટે રવાના કરશે એમ જણાવતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વૅક્સિનના પ્રથમ જથ્થામાંથી ફ્રન્ટલાઇન વર્કર્સ અને આરોગ્ય કર્મચારીઓનું વૅક્સિનેશન કરાશે, જેમની સંખ્યા લગભગ 10 લાખ જેટલી છે. નેપાલના સ્વાસ્થ્ય અને જનસંખ્યા મંત્રાલયે જેમને સૌપ્રથમ વૅક્સિન આપવામાં આવશે તેમની યાદી તૈયાર કરી છે, જેમાં કોરોનાના ચેપનું સૌથી વધુ જોખમ ધરાવતા સરકારી તેમ જ ખાનગી હૉસ્પિટલોમાં સેવા આપતા આરોગ્ય કર્મચારીઓને સામેલ કરાયા છે.