Harish Rana SC Verdict: છેલ્લા ૧૩ વરસથી હરીશ રાણા જીવન-મૃત્યુ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. કોર્ટ દ્વારા હરીશ રાણાની આવી કપરી અને અસહ્ય સ્થિતિને જોતાં ઈચ્છા મૃત્યુની પરમિશન આપી છે.
હરીશ રાણા - તસવીર સોશ્યલ મીડિયા
Harish Rana SC Verdict: સુપ્રીમ કોર્ટ દ્વારા ભારતમાં પહેલીવાર પેસિવ યૂથેનેશિયા એટલે કે ઈચ્છા મૃત્યુને મંજૂરી આપવામાં આવી છે. આ કેસ ગાઝિયાબાદના એક યુવક સાથે સંકળાયેલો છે. છેલ્લા ૧૩ વરસથી હરીશ રાણા જીવન-મૃત્યુ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. કોર્ટ દ્વારા હરીશ રાણાની આવી કપરી અને અસહ્ય સ્થિતિને જોતાં ઈચ્છા મૃત્યુની પરમિશન આપી છે. કોર્ટે આ બાબતે નિર્દેશ આપ્યો હતો કે હરીશ રાણાને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ના પેલિએટિવ કેર વિભાગમાં દાખલ કરવામાં આવે. અહીં તેની સારવાર ધીમે ધીમે તબીબી પ્રક્રિયા હેઠળ પાછી ખેંચી લેવામાં આવશે. આ સાથે જ કોર્ટ દ્વારા જણાવાયું છે કે આ સમગ્ર પ્રક્રિયા ગૌરવ અને સન્માન સાથે પૂર્ણ (Harish Rana SC Verdict) થવી જોઈએ.
માતા-પિતાએ જ લેવો પડ્યો આ નિર્ણય
ADVERTISEMENT
કેસની છેલ્લી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હરીશના પરિવાર સાથે પણ વાતચીત કરી હતી. હરીશના માતા-પિતા તેમના પુત્રની લગભગ ૧૦૦ ટકા જેવી અપંગતા અને લાંબા સમયથી ગંભીર સ્થિતિથી ખૂબ જ ભાંગી પડ્યા હતા અને તેઓ બંનેએ જ પુત્રને ઈચ્છા મૃત્યુ માગવાની માંગ કરી હતી. તમને એ પણ જણાવી દઈએ કે એઈમ્સના એક મેડિકલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હરીશના સાજા થવાની કોઈ શક્યતા દેખાઈ રહી નથી.
શું કહ્યું કોર્ટે?
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે આ આદેશ આપતા જણાવ્યું હતું કે, "`ઈશ્વર કોઈ માણસને પૂછતો નથી કે તેને જીવન સ્વીકાર્ય છે કે નહીં, તમારે તે સ્વીકારવું જ પડે છે.` હેનરી વોર્ડ બીચરના આ શબ્દો ત્યારે ખૂબ મહત્વના બની જાય છે જ્યારે અદાલતોને પૂછવામાં આવે છે કે શું વ્યક્તિ મૃત્યુ પસંદ કરી શકે છે." જસ્ટિસ પારડીવાલાએ વિલિયમ શેક્સપિયરના હેમ્લેટનું પ્રખ્યાત વાક્ય "To be or not to be" ટાંકતા કહ્યું કે, આ કેસ `જીવવું કે મરવું` એના આધારે જ `મૃત્યુના અધિકાર` પર નિર્ણય લેવા જેવો છે. કોર્ટે વધુમાં ઉમેર્યું કે ડૉક્ટરની ફરજ દર્દીની સારવાર કરવાની છે, પરંતુ "જ્યારે દર્દીના સાજા થવાની કોઈ આશા જ ન હોય ત્યારે તે ફરજ ટકી શકતી નથી." અદાલતે નિર્દેશ આપ્યો છે કે એઈમ્સ (AIIMS) દર્દીને પેલિએટિવ કેરમાં દાખલ કરશે જેથી લાઈફ સપોર્ટ હટાવવાની પ્રક્રિયા શરૂ કરી શકાય. આદેશમાં જણાવાયું છે કે, "આ પ્રક્રિયા એક સુનિયોજિત યોજના સાથે થવી જોઈએ જેથી દર્દીની ગરિમા જળવાઈ રહે." કોર્ટે વધુમાં ઉમેર્યું કે ડૉક્ટરની ફરજ દર્દીની સારવાર કરવાની છે, પરંતુ "જ્યારે દર્દીના સાજા થવાની કોઈ આશા જ ન હોય ત્યારે તે ફરજ ટકી શકતી નથી." અદાલતે નિર્દેશ આપ્યો છે કે એઈમ્સ (AIIMS) દર્દીને પેલિએટિવ કેરમાં દાખલ કરશે જેથી લાઈફ સપોર્ટ હટાવવાની પ્રક્રિયા શરૂ કરી શકાય.
કોણ છે આ હરીશ રાણા?
હરીશ રાણા વર્ષ ૨૦૧૩માં ચંદીગઢમાં અભ્યાસ કરી રહ્યો હતો. આ સમયે જ તે તેણી હોસ્ટેલના ચોથા માળેથી નીચે પડી ગયો હતો. પટકાઈ જવાને કારણે હરીશના માથામાં ગંભીર ઇજા થઈ હતી. જ્યારથી આ એક્સિડન્ટ થયો છે ત્યારથી હરીશ પથારીવશ જ છે. લાંબા સમયથી આમ પથારીમાં પડ્યા રહેવાને કારણે તેના શરીર પર ઘણા ઘા થઈ ગયા છે. હરીશની આવી સ્થિતિને કારણે જ તેના પિતાએ છેવટે સુપ્રીમ કોર્ટનું (Harish Rana SC Verdict) બારણું ખખડાવ્યું હતું. વર્ષ ૨૦૨૪માં તેમણે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ ત્યાંથી તેમને રાહત મળી ન હતી. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે પ્રાથમિક અને માધ્યમિક મેડિકલ બોર્ડની રચના કરી હતી. જેમાં એઈમ્સના નિષ્ણાતોને પણ આવરી લેવામાં આવ્યા હતા. આ બંને બોર્ડ દ્વારા આ કેસની વિગતે તપાસ કરવામાં આવી હતી અને તેઓને જણાવ્યું હતું કે હરીશની સ્થિતિમાં કોઈ સુધારો થઈ શકે એમ નથી. માટે જ તેની હવે પછી સારવાર ચાલુ રાખશુ તો પણ કોઈ અર્થ સરે એમ નથી. આવા નિષ્કર્ષ બાદ હરીશના માતા-પિતા અને મેડિકલ બોર્ડ બંનેનો અભિપ્રાય હતો કે CAN જેવી સારવાર આપવાનું જ બંધ કરી દેવામાં આવે એમાં જ ભલાઈ છે.
ભારતમાં 2011માં `અરુણા શાનબાગ વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા`ના ઐતિહાસિક ચુકાદા દ્વારા અસાધારણ સંજોગોમાં પેસિવ યુથનેશિયાને કાયદેસર માન્યતા મળી હતી. નર્સ અરુણા શાનબાગ જાતીય હુમલા બાદ ૪૦ વર્ષથી વધુ સમય સુધી વેજિટેટિવ સ્ટેટમાં રહ્યા હતા. જોકે, તે સમયે મેડિકલ પુરાવાઓને આધારે તેમનું લાઈફ સપોર્ટ હટાવવાની અરજી ફગાવી દેવામાં આવી હતી, પરંતુ તે ચુકાદાએ પેસિવ યુથનેશિયાના નિયમોને હળવા કર્યા હતા.
“Right to Die with Dignity” શું છે?
“Right to Die with Dignity” એટલે એવી સ્થિતિ જ્યાં દર્દી લાંબા સમયથી અચેતન અવસ્થામાં હોય, સાજા થવાની કોઈ શક્યતા ન હોય અને માત્ર મેડિકલ ઉપકરણોની મદદથી જ જીવન ટકી રહ્યું હોય. આવી સ્થિતિમાં લાઈફ સપોર્ટ દૂર કરીને દર્દીને કુદરતી રીતે મૃત્યુ પામવાની મંજૂરી આપવી તેને ‘ગૌરવપૂર્ણ મૃત્યુ’ માનવામાં આવે છે.
પેસિવ અને એક્ટિવ યુથનેશિયા વચ્ચે શું ફરક?
યુથનેશિયાના બે પ્રકાર હોય છે:
પેસિવ યુથનેશિયા: દર્દી પર ચાલી રહેલી લાઈફ સપોર્ટ સારવાર (જેમ કે વેન્ટિલેટર, ટ્યુબ દ્વારા ખોરાક) દૂર કરવામાં આવે છે અને શરીરને કુદરતી રીતે મૃત્યુ પામવા દેવામાં આવે છે. ભારતમાં આ પ્રકારને ચોક્કસ સંજોગોમાં કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી શકે છે.
એક્ટિવ યુથનેશિયા: દર્દીને સીધા કોઈ દવા અથવા ઈન્જેક્શન આપીને મૃત્યુ લાવવામાં આવે છે. ભારતમાં આ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.
ભારતમાં કાયદો શું કહે છે?
ભારતમાં ‘Right to Die with Dignity’ અંગે કાયદાકીય ચર્ચા છેલ્લા દાયકામાં તેજ બની છે. 2018માં સુપ્રીમ કોર્ટે ‘કોમન કોઝ વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા’ કેસમાં ‘લિવિંગ વિલ’ (Living Will) ને માન્યતા આપી હતી. એટલે કે, કોઈ વ્યક્તિ અગાઉથી લખી શકે છે કે જો તે ભવિષ્યમાં અચેતન અવસ્થામાં આવી જાય તો તેને લાઈફ સપોર્ટ પર રાખવામાં ન આવે.
‘Living Will’ શું છે?
‘Living Will’ એટલે વ્યક્તિ દ્વારા જીવનકાળમાં જ લખાયેલો કાનૂની દસ્તાવેજ, જેમાં તે જણાવે છે કે ગંભીર અને અચેતન સ્થિતિમાં તેને કઈ પ્રકારની મેડિકલ સારવાર જોઈએ કે નહીં. આ દસ્તાવેજના આધારે ડોક્ટર અને પરિવાર લાઈફ સપોર્ટ અંગે નિર્ણય લઈ શકે છે.5. આ કેસ શા માટે મહત્વનો છે? હરીશ રાણાનો કેસ માત્ર એક વ્યક્તિની દુઃખદ કથા નથી, પરંતુ તે ભારતમાં ‘Right to Die with Dignity’ અંગે ચાલી રહેલી કાનૂની અને નૈતિક ચર્ચાને ફરી એકવાર કેન્દ્રમાં લાવે છે. લાંબા સમય સુધી વેજિટેટિવ સ્ટેટમાં રહેલા દર્દીઓ અને તેમના પરિવાર માટે આ ચુકાદો મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડે છે.
ભારતમાં આવા કેસ કેટલા થાય છે?
ભારતમાં આવા કેસ બહુ ઓછા અદાલત સુધી પહોંચે છે, કારણ કે પેસિવ યુથનેશિયા માટે કડક મેડિકલ અને કાનૂની પ્રક્રિયા જરૂરી હોય છે. મેડિકલ બોર્ડની વિગતવાર તપાસ અને અદાલતની મંજૂરી વગર લાઈફ સપોર્ટ દૂર કરી શકાય તેમ નથી. હરીશ રાણાનો કેસ માત્ર એક વ્યક્તિની દુઃખદ કથા નથી, પરંતુ તે ભારતમાં ‘Right to Die with Dignity’ અંગે ચાલી રહેલી કાનૂની અને નૈતિક ચર્ચાને ફરી એકવાર કેન્દ્રમાં લાવે છે. લાંબા સમય સુધી વેજિટેટિવ સ્ટેટમાં રહેલા દર્દીઓ અને તેમના પરિવાર માટે આ ચુકાદો મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડે છે. હરીશ રાણાના કેસે ફરી એકવાર એ પ્રશ્ન ઉભો કર્યો છે કે, જ્યારે જીવન માત્ર મેડિકલ સાધનો પર ટકેલું હોય ત્યારે ‘જીવવું’ અને ‘મૃત્યુ પસંદ કરવું’ વચ્ચેની રેખા ક્યાં ખેંચવી?
