ભારત ઘણા લાંબા સમયથી તહવ્વુર રાણાને શોધવા પ્રયત્ન કરી રહ્યું છે, કારણ કે મુંબઈ ખાતે થયેલા હુમલામાં તેની સંડોવણી હતી.
મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણા ભારતને સોંપો : અમેરિકી સરકારે કોર્ટને કહ્યું
વર્ષ ૨૦૦૮માં થયેલા મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ખૂબ જલદી અમેરિકાથી ભારત પ્રત્યાર્પિત કરવામાં આવી શકે છે. જો બાઇડન પ્રશાસને લૉસ ઍન્જલસ ખાતે એક ફેડરલ કોર્ટને પાકિસ્તાની મૂળના કૅનેડિયન વ્યવસાયી તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પિત કરવા આગ્રહ કર્યો હતો. ભારત ઘણા લાંબા સમયથી તહવ્વુર રાણાને શોધવા પ્રયત્ન કરી રહ્યું છે, કારણ કે મુંબઈ ખાતે થયેલા હુમલામાં તેની સંડોવણી હતી.
૫૯ વર્ષના તહવ્વુરને ભારતે ભાગેડું ઘોષિત કરેલો છે. તહવ્વુર રાણા પર ૨૦૦૮માં થયેલા આતંકવાદી હુમલા સિવાય અન્ય કેટલીય આતંકવાદી ઘટનાઓમાં સામેલ થવાનો પણ આરોપ છે. મુંબઈ આતંકવાદી હુમલામાં આશરે ૧૬૬ લોકો માર્યા ગયા હતા જેમાં ૬ અમેરિકી નાગરિકોનો પણ સમાવેશ થતો હતો. ૧૦ જૂન, ૨૦૨૦ના રોજ લૉસ ઍન્જલસ ખાતેથી તહવ્વુરની ધરપકડ કરવામાં આવી હતી.