બંધારણ ઘડ્યા પછી કોર કમિટીની નવરચના
આ અગાઉ શનિવારે કોર કમિટીની બેઠકમાં કમિટીને ભંગ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અણ્ણાએ એક લેખિત મેસેજમાં કહ્યું હતું કે ‘મને કોર કમિટીનો ભંગ કરવાની દરખાસ્ત ગમી નથી. અમુક આક્ષેપો થાય એટલે આપણે મેદાન છોડીને ભાગી જવાની જરૂર નથી. કોર કમિટી સંગઠિત થઈને આક્ષેપોનો સામનો કરશે. બંધારણ ઘડ્યા બાદ કોર કમિટીનું પુનર્ગઠન કરવામાં આવશે.’
મૌનવ્રત છોડવાની સલાહ
ભ્રષ્ટાચાર ડામવા જનલોકપાલ બિલ માટે આંદોલન ચલાવી રહેલા જાણીતા ગાંધીવાદી અણ્ણા હઝારેએ તબિયત ખરાબ હોવાથી મૌનવ્રત લીધું છે, પરંતુ તેમના ડૉક્ટરે તેમને મૌનવ્રત છોડીને સંપૂર્ણ આરામ લેવાની સલાહ આપી છે. ફિઝિશ્યન કે. એમ. સાંચેતીએ ૭૪ વર્ષના અણ્ણાને તપાસીને ચિંતાકારક સંકેત આપ્યા હતા.
કેજરીવાલ લોન લેશે
અણ્ણા હઝારેના નિકટના સહયોગી અરવિંદ કેજરીવાલે પોતાના ટીકાકારોના સઢમાંથી હવા કાઢી નાખવા ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (આઇઆરએસ)માંથી આપેલા રાજીનામા વખતના સરકારને ચૂકવવાના બાકી રહેતા ૯ લાખ રૂપિયા મિત્રો પાસેથી પર્સનલ લોન લઈને ચૂકવી દેવાનું નક્કી કર્યું છે. દરમ્યાન કૉન્ગ્રેસના મહામંત્રી દિગ્વિજય સિંહે ગઈ કાલે અણ્ણા હઝારે અને તેમના ટીમ-મેમ્બરોની ઝાટકણી કાઢી હતી. તેમણે ટ્વિટર પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે ‘અણ્ણાના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનને આરએસએસે (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) આપેલા ટેકાનો આભાર ન માનનાર અણ્ણા કૃતઘ્ની છે. બાબા રામદેવ વધારે પ્રામાણિક છે અને તેમણે પોતાના આંદોલનને આરએસએસે આપેલા ટેકાની કબૂલાત કરી છે.