ઔરંગાબાદમાં કોવિડ-૧૯ જેવાં લક્ષણો ધરાવતી બીમારી SARIથી ૧૦ જણનાં મોત
ઔરંગાબાદમાં જે દરદીઓના કોરોના ઇન્ફેક્શનના રિપોર્ટ્સ નેગેટિવ મળ્યા હતા એવા ૧૦ દરદીઓ સિવિયર ઍક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન (SARI )થી મૃત્યુ પામ્યા હોવાનું આરોગ્ય ખાતાના અધિકારીઓએ જણાવ્યું હતું. કોરોનાના રોગચાળા વચ્ચે ઔરંગાબાદ જિલ્લામાં ડૉક્ટરોએ કોવિડ-19 જેવાં લક્ષણો ધરાવતા ઇન્ફેક્શનના કેસોમાં વૃદ્ધિ નોંધી છે. ૨૯ માર્ચથી ૭ એપ્રિલ વચ્ચે ૧૧ દરદીઓ મૃત્યુ પામ્યા હતા અને એમાંથી ૧ કોરોનાનો અને બાકી ૧૦ SARIના દરદી હોવાનું જિલ્લાના નોડલ ઑફિસર ડૉ. મોહન ડોઇબલેએ જણાવ્યું હતું. ડૉ. મોહન ડોઇબલેએ જણાવ્યું હતું કે ‘એ ૧૧ દરદીઓમાંથી ૧૦ દરદીઓના કોરોના ટેસ્ટના રિપોર્ટ્સ નેગેટિવ મળ્યા હતા. કોવિડ-19ની માફક SARIનાં લક્ષણો પણ ‘શરદી-ખાંસી અને શ્વાસ લેવામાં મુશ્કેલી-તાવ’ હોવાથી અમે કોરોનાના દરદીઓ તરીકે તેમની ટેસ્ટ કરીએ છીએ. હાલમાં એવાં લક્ષણો ધરાવતા ૨૩ દરદીઓ ઔરંગાબાદની ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.’
ઔરંગાબાદમાં અત્યાર સુધીમાં કોરોના ઇન્ફેક્શનના ૧૨ કન્ફર્મ્ડ કેસ નોંધાયા છે.