Air India Express Flight Cancel: ટાટા ગ્રુપની કંપનીએ ૩૦ કર્મચારીઓને બરતરફ કર્યા; આજે પણ ૮૦થી વધૂ ફ્લાઇટ્સ રદ
ફાઇલ તસવીર
એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express) એ કર્મચારીઓના બળવા વચ્ચે ૩૦ કેબિન ક્રૂ મેમ્બર્સને બરતરફ કર્યા છે. એર ઈન્ડિયાએ (Air India Express Flight Cancel) નિયમોને ટાંકીને આ કાર્યવાહી કરી છે. કંપની દ્વારા જે કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે તેમાં માત્ર માંદગીની રજા પર રહેલા કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કંપનીએ સીક લીવ પર ગયેલા બાકીના કર્મચારીઓને ગુરુવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં તેમની નોકરી પર પાછા ફરવાનું અલ્ટીમેટમ પણ આપ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો તેઓ આમ નહીં કરે તો કંપની તેમની સામે પણ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.
એર ઈન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓના બળવાનો માર હવે મુસાફરોને ભોગવવો પડી રહ્યો છે. ગુરુવારે પણ એર ઈન્ડિયા એક્સપ્રેસની ૮૦ થી વધુ ફ્લાઈટ્સ કાં તો રદ થઈ છે અથવા મોડી ચાલી રહી છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે જે ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે તેમાં ચેન્નાઈ (Chennai) થી કોલકાતા (Kolkata), ચેન્નાઈથી સિંગાપોર (Singapore) અને ત્રિચી (Trichy) થી સિંગાપોરની ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. જ્યારે લખનઉ (Lucknow) થી બેંગ્લોર (Bangalore) ની ફ્લાઈટ મોડી ચાલી રહી છે.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે, એર ઈન્ડિયા એક્સપ્રેસમાં કામ કરતા ૩૦૦થી વધુ કર્મચારીઓ બુધવારથી કામ પર નથી આવી રહ્યા. આ તમામ કર્મચારીઓએ સૌપ્રથમ એકસાથે માંદગીની રજા (Air India Express Employees On Sick Leave) માટે અરજી કરી અને તેમના મોબાઈલ ફોન બંધ કરી દીધા. જેના કારણે બુધવારે વિમાનોના સંચાલનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ આજે ગુરુવારે તેઓ કામ પર ન આવતા મુસાફરોને તકલીફ પડી રહી છે.
આ કર્મચારીઓના બળવા પાછળનું કારણ રોજગારની નવી શરતો છે. આ તમામ કર્મચારીઓ આ નવી શરતનો વિરોધ કરી રહ્યા છે. એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ બુધવારે જણાવ્યું હતું કે, અમારા કેબિન ક્રૂના કેટલાક સભ્યો મંગળવારની રાતથી ડ્યૂટી માટે રિપોર્ટિંગ કરતા પહેલા જ બીમાર પડ્યા હતા અને તેના કારણે ઘણી ફ્લાઈટ્સ રદ કરવી પડી છે અથવા તો મોડી પડી છે. અમે આ ઘટનાઓ પાછળના કારણોને સમજવા માટે ક્રૂ સાથે વાતચીત કરી રહ્યા છીએ. પરિણામે, અમારી ટીમો અમારા મુસાફરોને કોઈપણ અસુવિધા ઘટાડવા માટે સક્રિયપણે કાર્ય કરી રહી છે.
નોંધનીય છે કે, એર ઈન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓ દ્વારા વિરોધ કે વિદ્રોહનો આ પહેલો કિસ્સો નથી. ગયા મહિને, એર ઈન્ડિયા એક્સપ્રેસ કેબિન ક્રૂના એક વર્ગનું પ્રતિનિધિત્વ કરતા યુનિયને આરોપ લગાવ્યો હતો કે એરલાઈનનું મેનેજમેન્ટ યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી અને કર્મચારીઓ સાથેના વ્યવહારમાં સમાનતાનો અભાવ છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ એમ્પ્લોઈઝ યુનિયન (AIXEU) નામના રજિસ્ટર્ડ યુનિયને પણ આક્ષેપ કર્યો હતો કે મામલાના ગેરવહીવટને કારણે કર્મચારીઓના મનોબળને અસર થઈ છે.