BJP 70 વર્ષોનું રટણ બંધ કરે, દરેક બાબતની એક્સપાયરી ડેટ હોય: પ્રિયંકા
પ્રિયંકા ગાંધી
કૉંગ્રસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશની ગંગાયાત્રા દરમ્યાન સીતામઢીમાં પત્રકારોને સંબોધતાં જણાવ્યું હતું કે ‘BJPના વિકાસના દાવા પોકળ છે અને BJP છેલ્લાં 70 વર્ષની વાતો કર્યા કરે તો એની પણ કોઈ એક્સપાયરી ડેટ હોય છે. BJPનું રાષ્ટ્રના વિકાસનું રિપૉર્ટ કાર્ડ જોઈને ખૂબ સારું લાગે છે, પણ વાસ્તવિકતા સાવ જુદી છે. હું રોજ જેમને મળી રહી છું એમાં ખેડૂત હોય, વિદ્યાર્થી હોય, ગ્રૅજ્યુએટ યુવાન હોય કે આંગનવાડી કાર્યકર હોય; બધા પરેશાન છે. વેતન વિશે કે અન્ય બાબતોમાં જે જાહેરાતો કરવામાં આવી છે એ પ્રમાણે કોઈને કંઈ આપવામાં આવતું નથી. પ્રચાર અને વાસ્તવિકતામાં ઘણો તફાવત છે.’
પ્રિયંકા ગાંધી-વાડ્રાએ ઉત્તર પ્રદેશની ગંગાયાત્રાના બીજા દિવસે મિર્ઝાપુરમાં વિંધ્યવાસિની માતાના મંદિર તથા ખ્વાજા જનાબ ઇસ્માઇલ ચિશ્તીની દરગાહની મુલાકાત લીધી હતી. કૉંગ્રસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વિંધ્યવાસિની મંદિરમાં ગયાં ત્યારે બહાર ભેગી થયેલી મેદનીએ જોરશોરથી ‘હર હર મોદી’ના ઘોષ બાદ પ્રિયંકા અને કૉંગ્રસવિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ગઈ કાલે પ્રિયંકા ગાંધી-વાડ્રાએ વિંધ્યાચલ, ભદોહી અને મિર્ઝાપુરનો પ્રવાસ કર્યો હતો.