ચંદ્રાબાબુ દળ બદલવામાં સિનિયર, સસરાની પીઠમાં છરો ભોંક્યો: આંધ્રમાં મોદી
જનસભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે દક્ષિણ ભારતના 3 રાજ્યો આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકના પ્રવાસમાં સૌથી પહેલા ગુંટુર પહોંચ્યા. અહીંયા ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. મોદીએ રેલીમાં મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુના એનડીએથી અલગ થઈને મહાગઢબંધનમાં સામેલ થવા પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે ટીડીપીના પ્રમુખ દળ બદલવામાં સિનિયર છે. તેમણે તો પોતાના સસરા એનટીઆરની પીઠમાં પણ છરો ભોંક્યો હતો.
મોદીએ કહ્યું, 'આંધ્રના લોકો જાગી જાઓ. તેઓ (નાયડુ) કાલે ફોટો પડાવવા માટે મોટું જૂથ લઈને દિલ્હી જવાના છે. ભાજપ કાર્યકર્તાઓના પૈસાથી આ કાર્યક્રમ કરી રહી છે, પરંતુ તેઓ આંધ્રની જનતાની તિજોરીઓમાંથી પૈસા લઈને જઈ રહ્યા છે. આંધ્રની જનતાએ તેમની પાસેથી આનો હિસાબ માંગવો જોઈએ. મારો આગ્રહ હશે કે દિલ્હી આવતા પહેલા, મને ગાળો આપતા પહેલા તમે આંધ્રના લોકોને પોતાના પૈસાના ખર્ચનો હિસાબ આપીને આવો.'
ADVERTISEMENT
મોદીએ કહ્યું, 'ટીડીપીના લોકોએ અહીંયા આવવા પર મને ગો બેક મોદી કહ્યું. મને દેશના કરોડો લોકો પર સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ ટીડીપીની ઇચ્છા પૂરી કરશે અને મને ફરીથી દિલ્હીની સરકારમાં પહોંચાડશે. અમે અમરાવતીથી કોલાવતી સુધી વેલ્થ ક્રિયેશનમાં લાગેલા છીએ. નાયડુ ચોકીદારથી પરેશાન છે. તેમની ધરતી હાલી ગઈ છે. કેન્દ્ર સરકારે આંધ્રના વિકાસમાં કોઈ કસર નથી છોડી. પરંતુ, જે પૈસા આવ્યા તે અહીંયાની સરકારે તેમને દર્શાવ્યા નથી. તે પૈસાનો ઉપયોગ નથી કર્યો. જ્યારે રાજ્યની વહેંચણી થઈ ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. ત્યારે કોંગ્રેસે ફક્ત પોતાનું ભલું જોયું. આજે ચંદ્રાબાબુએ તે જ કોંગ્રેસને સરેન્ડર કરી દીધું.'
મોદીએ કહ્યું, 'અમે આંધ્રપ્રદેશ માટે સ્પેશિયલ પેકેજ બનાવ્યું. અમારી કોશિશ હતી કે રાજ્યને એટલું જરૂર મળે જેટલું સ્પેશિયલ સ્ટેટસ વાળા રાજ્યોની જરૂરિયાત છે. આ પેકેજને સપ્ટેમ્બર 2016માં લાગુ કરી દીધું હતું. નાયડુએ પોતે આ પેકેજ માટે આભાર માન્યો હતો. અમે સંપૂર્ણ પ્રામાણિકતાથી અમારું વચન નિભાવતા હતા. પરંતુ તે પેકેજનો ઉપયોગ કરવામાં નિષ્ફળ ટીડીપી સરકારે યુ ટર્ન લીધો. બાબુગાર સનરાઈઝ (સૂર્યોદય)નું વચન આપીને સરકારમાં આવ્યા હતા, પરંતુ પોતાના દીકરાનો ઉદય કરવામાં લાગી ગયા.'
'છેલ્લા કેટલાક દિવસોથી નાયડુ જે ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે, લાગે છે કે તેમણે મોદી માટે ગાળો રિઝર્વ કરી રાખી છે. શું આંધ્રની સંસ્કૃતિને ઇજા પહોંચાડવાનો તમારો અધિકાર છે? અરે, બાબુગાર ઘણા મહિનાઓથી તમે બોલી રહ્યા હતા, મેં મારા મોઢા પર તાળા વાસેલાં હતાં. પરંતુ આ આંધ્રની જનતા છે જેને તમે જવાબ આપ્યો છે. આજે મને આશીર્વાદ આપવા જનસૈલાબ આવ્યો છે. બાપ-દીકરાની સરકારનું જવું નક્કી છે. અમારી પરંપરા છે કે જ્યારે કોઈ શુભ કામ થાય છે તો ઘરના મુખિયાને કાળું ટપકું લગાવી દે છે. આજે તમે કાળા ફુગ્ગાઓ લગાવીને જે કર્યું છે તેના માટે આભાર માનવા માંગું છું.'