લાલ કિલ્લા પરથી વડા પ્રધાને ભારતના અનેક દુશ્મનોને ચેતવણી આપતાં કહ્યું...
ઑપરેશન સિંદૂરના ધ્વજ અને પુષ્પવર્ષાથી નવા ભારતને ૭૯મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ : લાલ કિલ્લા પર ૭૯મા સ્વતંત્રતાદિનની રાષ્ટ્રીય ઉજવણીમાં ઑપરેશન સિંદૂર અને ભારતના સામર્થ્યની થીમને વિશેષ મહત્ત્વ અપાયું હતું. ઑપરેશન સિંદૂરના ધ્વજ સાથેના હેલિકૉપ્ટરથી લાલ કિલ્લા પરિસરમાં પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘દેશ સુદર્શન ચક્ર મિશન શરૂ કરવા જઈ રહ્યો છે. આ સુદર્શન ચક્ર એક શક્તિશાળી ડિફેન્સ સિસ્ટમ હશે જે દુશ્મનના હુમલાને નષ્ટ કરવાની સાથે અનેકગણો વધુ સામો વાર પણ કરશે. અમે આગામી ૧૦ વર્ષમાં સુદર્શન ચક્ર મિશનને ખૂબ જ જોશથી આગળ લઈ જઈશું. આ અંતર્ગત ૨૦૩૫ સુધીમાં દેશનાં તમામ મહત્ત્વપૂર્ણ સ્થળોને આ રાષ્ટ્રીય સુરક્ષા કવચથી આવરી લેવામાં આવશે. આ સુરક્ષા કવચનો વિસ્તાર થતો રહેશે.’
આ મુદ્દે વડા પ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ‘દેશના દરેક નાગરિકને સુરક્ષિતતાનો અનુભવ થવો જોઈએ. આ માટે હું આ રાષ્ટ્રીય સુરક્ષા કવચને ૨૦૩૫ સુધી લંબાવવા માગું છું એટલે શ્રીકૃષ્ણથી પ્રેરણા લઈને અમે સુદર્શન ચક્રનો માર્ગ પસંદ કર્યો છે. ઑપરેશન સિંદૂર દરમ્યાન ભારત માટે ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભરતા સમગ્ર દુનિયાએ જોઈ. આ આત્મનિર્ભર ભારતની તાકાત હતી. જે દેશો બીજા પર નિર્ભર રહે છે તેમની આઝાદી સામે પણ પ્રશ્ન ઊભો થઈ જાય છે.’


