લગભગ એક સપ્તાહ પહેલા કોલેજનો એન્યુઅલ ડે ઈવેન્ટ યોજાયો હતો, જેને કોરોના સંક્રમણ ફેલાવવાનું કારણ માનવામાં આવે છે.
પ્રતીકાત્મક તસવીર
તેલંગાણા (Telangana)ના કરીમ નગર જિલ્લાની ચલામેડા આનંદ રાવ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના ઓછામાં ઓછા 43 તબીબી વિદ્યાર્થીઓ કોરોના (Corona)થી સંક્રમિત થયા છે. જેના કારણે મેનેજમેન્ટને વર્ગો સ્થગિત કરવા અને કેમ્પસ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે.
લગભગ એક સપ્તાહ પહેલા કોલેજનો એન્યુઅલ ડે ઈવેન્ટ યોજાયો હતો, જેને કોરોના સંક્રમણ ફેલાવવાનું કારણ માનવામાં આવે છે. કરીમ નગર જિલ્લાના જિલ્લા અને આરોગ્ય અધિકારી ડૉ. જુવેરિયાએ જણાવ્યું હતું કે વાર્ષિક દિવસની ઉજવણી અને આટલી મોટી સંખ્યામાં લોકોના એકઠા થવા વિશે સરકારને જાણ કરવામાં આવી ન હતી. આ સમારોહમાં સામેલ ઘણા લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતા.
ADVERTISEMENT
તેમણે કહ્યું, `અત્યાર સુધી 200 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે, સોમવારે કેમ્પસના તમામ 1000 લોકોના ટેસ્ટ માટે એક ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શનિવારે 13 વિદ્યાર્થીઓ પોઝિટિવ જોવા મળ્યા હતા જ્યારે અન્ય 26 વિદ્યાર્થીઓ રવિવારે પોઝિટિવ આવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફની ચકાસણી કરવામાં આવી રહી છે અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.`
તેલંગાણાના જાહેર આરોગ્ય નિયામક ડૉ. જી. શ્રીનિવાસે નવો કોરોના વેરિયન્ટ ઓમિક્રોન (Omicron)ને ડેલ્ટા કરતા લગભગ છ ગણા વધુ ચેપી હોવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે જાન્યુઆરીના મધ્ય સુધીમાં વધુ કેસોની અપેક્ષા છે અને ફેબ્રુઆરીમાં કેસોની સંખ્યામાં વધુ વધારો થઈ શકે છે. વિદેશથી હૈદરાબાદ પહોંચેલા 13 મુસાફરોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે અને આજે સાંજ સુધીમાં પરિણામ આવી શકે છે. 11 જોખમ ધરાવતા દેશોમાંથી 979 લોકો આવ્યા હતા. જે લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે તેમને પણ 14 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવા અને આગમનના આઠમા દિવસે કોરોના ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું છે.
તેલંગાણાના આરોગ્ય પ્રધાન હરીશ રાવે કેન્દ્ર સરકારને પત્ર લખીને આરોગ્ય સંભાળ કાર્યકરો, ફ્રન્ટ લાઇન વર્કર્સ અને રોગપ્રતિકારક સંવેદનશીલ જૂથોને બૂસ્ટર ડોઝ આપવા અંગે વિચારણા કરવા વિનંતી કરી છે.