૨૦ જાન્યુઆરીથી ડિગ્રી કૉલેજો ચાલુ કરવા વિચારણા
પ્રતીકાત્મક તસવીર
મિશન બિગીન અગેઈન હેઠળ લૉકડાઉનમાં ધીમે ધીમે નોકરી-ધંધાની અને અન્ય છૂટછાટ આપવામાં આવી હતી પણ સ્કૂલ અને કૉલેજો ખોલવા સંદર્ભે અવારનવાર તારીખ પર તારીખ પડી રહી છે. પહેલાં ૨૩ નવેમ્બર અને હાલમાં ૪ જાન્યુઆરી અને પછી ૧૧ જાન્યુઆરીની તારીખે પણ સ્કૂલ, કૉલેજો ચાલુ નથી કરાઈ. ત્યારે હવે રાજ્યના હાયર ઍન્ડ ટેક્નિકલ એજ્યુકેશન મિનિસ્ટર ઉદય સામંતે કહ્યું છે કે રાજ્યની વિવિધ યુનિવર્સિટી સાથે જોડાયેલી કૉલેજો ચાલુ કરવા બાબતે તેઓ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરી આ બાબતે નિર્ણય લેશે. હાલ ૫૦ ટકા વિદ્યાર્થીઓની કેપેસીટી સાથે કૉલેજો ચાલુ કરવાની વિચારણા ચાલી રહી છે.
રાજ્યની અલગ અલગ યુનિવર્સિટી અંતર્ગત આવતી કૉલેજો ૨૦ જાન્યુઆરીથી ૫૦ ટકા કેપેસીટી સાથે શરૂ કરવા સંદર્ભે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરીને નિર્ણય લેવાશે એમ રાજ્યના હાયર અૅન્ડ ટેક્નિકલ એજ્યુકેશન મિનિસ્ટર ઉદય સામંતે કહ્યું છે. તેમની ઇચ્છા અડધા વિદ્યાર્થીઓને ત્રણ દિવસ અને બાકીના અડધાને બીજા ત્રણ દિવસ બોલાવવાનું વિચારી રહ્યા છે. ગઈ કાલે તેમણે પ્રાધ્યાપકોની ભરતી, કૉલેજના અન્ય પ્રશ્નો, એડમિશન પ્રોસેસમાં આવી રહેલી તકલીફો અને અન્ય સમસ્યાઓ બાબતે ફેસબુક પેજ દ્વારા વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ સાથે સંપર્ક સાધ્યો હતો.
ADVERTISEMENT
૫૦ ટકા સાથે કૉલેજો ચાલુ કરવા બાબતે કૉલેજ હોસ્ટેલ અને સ્થાનિક સ્તરે હાલની પરિસ્થિતિની મુલવણી કરી એ વિશે નિર્ણય લેવાશે. એ સિવાય વિવિધ યુનિવર્સિટી અંતર્ગત આવતી કૉલેજોમાં પ્રિન્સિપાલની નિમણૂક સહિત અન્ય જે પદ ખાલી હશે જેમાં અસિસ્ટન્ટ પ્રોફેસરનો પણ સમાવેશ થાય છે તે ભરવાનો નિર્ણય વહેલી તકે લેવાશે એમ તેમણે જણાવ્યું છે.