Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેના ઘોડબંદર રોડ પર ભુસ્ખલન: પથ્થરો અને માટી ધસી પડી, જાનહાનિ નહીં

થાણેના ઘોડબંદર રોડ પર ભુસ્ખલન: પથ્થરો અને માટી ધસી પડી, જાનહાનિ નહીં

Published : 18 August, 2026 01:52 PM | IST | Thane
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Thane Ghodbunder Road Landslide: સોમવારે સાંજે થાણેના ઘોડબંદર રોડ પર ભાયંદરપાડા નજીક ભૂસ્ખલન થયું હતું; કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી, જ્યારે ટ્રાફિક અવરજવર મોટાભાગે અકબંધ રહી હતી; ચોમાસાની સ્થિતિ વચ્ચે અધિકારીઓ ટેકરી પર નજર રાખી રહ્યા છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્ર (Maharashtra) ના થાણે (Thane) સ્થિત ધમધમતા ઘોડબંદર રોડ (Ghodbunder Road) પર ગઈકાલે સાંજે ભાયંદરપાડા (Bhayandarpada) વિસ્તાર નજીક પહાડીનો એક ભાગ અચાનક ધસી પડતાં અફરાતફરી મચી ગઈ હતી. એક રહેણાંક સંકુલ નજીક પથ્થરો અને માટી ધસી પડવાની આ ઘટનાથી ચોમાસાના વાતાવરણ (Mumbai Monsoon) વચ્ચે સ્થાનિક રહીશો અને વાહનચાલકોની સુરક્ષા અંગે ચિંતા ઊભી થઈ હતી.

મહારાષ્ટ્રના થાણે શહેરમાં સોમવાર, ૧૭ ઓગસ્ટની સાંજે ઘોડબંદર રોડ પર એક પહાડી પરથી મોટા પથ્થરો અને માટી ધસી પડતાં ભુસ્ખલનની ઘટના (Thane Ghodbunder Road Landslide) બની હતી. આ કાટમાળ ભાયંદરપાડા વિસ્તારમાં આવેલા એક રહેણાંક સંકુલ નજીક મુખ્ય રસ્તાના કિનારે ખાબક્યો હતો. સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી.



જેસીબી મશીનરી વડે રાહત કામગીરી હાથ ધરાઈ


થાણેના રિજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ (Regional Disaster Management Cell - RDMC) ના ઇમરજન્સી કંટ્રોલ રૂમને સોમવારે રાત્રે આશરે ૮:૪૦ વાગ્યે ભુસ્ખલનની જાણ થઈ હતી. માહિતી મળતાં જ RDMC ની ટીમ અને થાણે મહાનગરપાલિકા (Thane Municipal Corporation) ના કર્મચારીઓ જેસીબી અને અર્થ એક્સ્કેવેટર મશીનો સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.

રિજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસીન તડવી (Yasin Tadvi) એ પુષ્ટિ કરી હતી કે, રાહત ટુકડીઓએ રસ્તા કિનારે પડેલા પથ્થરો અને માટી હટાવવા માટે ઝડપી કામગીરી કરી હતી. સમયસરની કામગીરીને કારણે આ મુખ્ય માર્ગ પર વાહન વ્યવહાર ખોરવાયો નહોતો અને ટ્રાફિક વ્યવહાર સતત ચાલુ રહ્યો હતો.


સુરક્ષાના પગલાં અને કલેક્ટર વિભાગ દ્વારા નજર

કાટમાળ હટાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ, ઇમરજન્સી અધિકારીઓએ ભાયંદરપાડા હાઉસિંગ સોસાયટી નજીક આવેલી અસરગ્રસ્ત પહાડી વિસ્તારને કોર્ડન કરી દીધો હતો. સ્થાનિક પ્રશાસને વાહનચાલકો, રાહદારીઓ અને આસપાસના રહીશોની સુરક્ષા માટે સાવચેતીના પગલાં અમલમાં મૂક્યા છે.

મહાનગરપાલિકાના કર્મચારીઓ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમ આ પહાડી વિસ્તાર પર સતત નજર રાખી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચોમાસાની ચાલુ ઋતુ દરમિયાન જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઘોડબંદર રોડ પર આવેલા તમામ જોખમી પહાડી વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવશે. અસરગ્રસ્ત રસ્તો સાફ કરીને સુરક્ષિત કર્યા બાદ, સત્તાવાળાઓએ હવે ભાયંદરપાડા નજીકની જોખમી પહાડી પર ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

અધિકારીઓએ ભારે વરસાદ દરમિયાન ઘોડબંદર રોડના પહાડી વિસ્તારોમાંથી પસાર થતી વખતે વાહનચાલકો અને સ્થાનિક રહીશોને સાવચેત રહેવાની વિનંતી કરી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ચોમાસા દરમિયાન થાણેના સૌથી વ્યસ્ત વાહનવ્યવહાર માર્ગોમાંથી એક એવા આ રોડ પર ભુસ્ખલન સંભવિત વિસ્તારોનું સંચાલન કરવું નાગરિક એજન્સીઓ માટે કેટલું પડકારજનક છે.

Whatsapp-channel Whatsapp-channel

18 August, 2026 01:52 PM IST | Thane | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK