ધોધમાર વરસાદ હોવા છતાં પ્રકૃતિપ્રેમી થાણેકરોનો ઉત્સાહ જરાય ઓછો થયો નહોતો
થાણેના ટીકુજીની વાડી સર્કલ નજીક રચવામાં આવેલી માનવસાંકળ.
થાણેમાં પર્યાવરણ અને જંગલની જમીનના સંરક્ષણ માટે નાગરિકો રસ્તા પર ઊતરી આવ્યા છે. નૅશનલ પાર્કના માનપાડા તરફ આવેલા ૧૬૩ એકર જંગલ વિસ્તારમાં સૂચિત વિકાસ પ્રોજેક્ટના વિરોધમાં ગઈ કાલે સવારે ૬૦૦ જેટલા નાગરિકોએ એકઠા થઈને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ધોધમાર વરસાદ હોવા છતાં પ્રકૃતિપ્રેમી થાણેકરોનો ઉત્સાહ જરાય ઓછો થયો નહોતો. આ જાગૃત નાગરિકોએ ટીકુજીની વાડી સર્કલ (ગૌરવ સ્વીટ્સ)થી ખેવરા સર્કલ સુધી લાંબી અને મજબૂત માનવસાંકળ રચી હતી. મુશળધાર વરસતા વરસાદમાં પણ લોકોનું આ પ્રકારે એકઠા થવું એ સાબિત કરે છે કે આ મુદ્દો સ્થાનિક લોકો માટે કેટલો ગંભીર છે.
વિરોધ-પ્રદર્શન નોંધાવતાં એક સ્થાનિક નાગરિકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પ્રદર્શન દ્વારા થાણેના રહેવાસીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ થાણેની હરિયાળી અને કુદરતી સંપત્તિને બચાવવા માટે ખૂબ જ ચિંતિત છે. વર્તમાન સમયમાં થાણેનો ખૂબ જ ઝડપથી વિસ્તાર અને વિકાસ થઈ રહ્યો છે જેમાં નવા રસ્તાઓ, મેટ્રો લાઇનો અને મોટી આધુનિક ટાઉનશિપનું નિર્માણ થઈ રહ્યું છે. આ પ્રગતિ કદાચ જરૂરી હોઈ શકે છે, પરંતુ મુખ્ય તર્ક એ છે કે આ આંધળો વિકાસ એવાં કુદરતી સ્થળોના ભોગે ન થવો જોઈએ જે થાણેને રહેવાલાયક બનાવે છે. વિકાસ અને પર્યાવરણ વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું એ જ આજના સમયની સૌથી મોટી અને અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે.’
