સુશાંત કેસ : ડ્રગ્સ મામલે બે ફરિયાદ
ગઈ કાલે પૂછતાછ માટે એનસીબીની ઑફિસમાં આવેલી રિયા ચક્રવર્તી. તસવીર : અતુલ કાંબળે
સુશાંત સિંહ કેસમાં ડ્રગ ઍન્ગલની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ મૂળ એફઆઇઆર નોંધાયો હતો એ કેસમાં ખાસ કોઈ તપાસ નથી કરી પણ અન્ય કેસમાં રિયાના ભાઈ શોવિક, સુશાંતના હાઉસ મૅનેજર સૅમ્યુઅલ મિરાન્ડા, રસોઇયા દીપેશ સાવંત સહિત કુલ આઠ જણની ધરપકડ કરી છે એટલું જ નહીં, એ કેસમાં આરોપીઓની કસ્ટડી મેળવવા સુશાંત સિંહના નામનો ઉલ્લેખ કરાય છે.
એનસીબીએ 26 ઑગસ્ટે રિયા ચક્રવર્તી, તેના પરિવારના સભ્યો અને અન્યો સામે એનડીપીએસ ઍક્ટની કલમ 20 (બી) 22/27/28/29 હેઠળ એફઆઇઆર 15/2020 નોંધ્યો હતો. ઈડીએ તેમની મની લૉન્ડરિંગની તપાસ દરમ્યાન રિયાની અન્ય સાથે કરેલી વૉટ્સઍપ ચૅટ ચેક કરી હતી. એ વૉટ્સઍપ ચૅટના આધારે આ એફઆઇઆર નોંધવામાં આવ્યો હતો. એથી આ કેસમાં કોઈ જ ડ્રગ હસ્તગત કરાયું નથી. એફઆઇઆરમાં પણ એ બાબતનો ઉલ્લેખ કરાયો છે.
ADVERTISEMENT
28 ઑગસ્ટે મુંબઈ અને દિલ્હીની ટીમે એનસીબીના ઉચ્ચ અધિકારીની દોરવણી હેઠળ સંયુક્ત કાર્યવાહી કરી અબ્બાસ લાખાણી અને કરણ ઓરોરાને પકડ્યા હતા. તેમની બન્નેની પાસેથી કુલ 105 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. તેમની સામે એફઆઇઆર નોંધાયો, જેનો નંબર હતો 16/2020. તેમની પૂછપરછમાં મળેલી માહિતીના આધારે ઝૈદ વિલાતરાની ધરપકડ અને એ પછી અબ્દેલ બાસિત પરિહાર, કૌઝાન ઇબ્રાહિમ, સૅમ્યુઅલ મિરાન્ડા, શોવિક અને દીપેશ સાવંતની ધરપકડ કરવામાં આવી હતી.
આ બધી જ ધરપકડ એફઆઇઆર 16/2020ના કેસમાં કરી છે નહીં કે સુશાંત સિંહ રાજપૂતને લગતા 15/2020 કેસમાં. કહેવાય છે કે એ તપાસ દરમ્યાન રિયાનું પણ નામ બહાર આવતાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના અધિકારીઓએ છ કલાક સુધી ગઈ કાલે રિયા ચક્રવર્તીની પૂછપરછ કર્યા બાદ આજે ફરી તેને તપાસ માટે બોલાવી છે.
‘મિડ-ડે’ દ્વારા જ્યારે ડીડીજી અશોક જૈનને 15/2020માં કેટલો પ્રોગ્રેસ થયો એમ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘અમે એ કેસમાં બધું કાયદેસર જ કરી રહ્યા છીએ. અમે એ સદંર્ભે અમારી કાયદાકીય ટીમની સલાહ પણ માગી છે.’ પણ કેસમાં શું પ્રોગ્રેસ થયો એનો જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું.