પંજાબમાંથી પકડાયેલા અનુજ થાપન પર શૂટરોને પિસ્ટલ સપ્લાય કરવાનો આરોપ હતો
આરોપી અનુજ થાપન
સલમાન ખાનના બાંદરા-વેસ્ટમાં આવેલા ઘર પર ૧૪ એપ્રિલે વહેલી સવારે થયેલા ફાયરિંગના કેસમાં પકડાયેલા ૩૨ વર્ષના આરોપી અનુજ થાપને ગઈ કાલે ક્રૉફર્ડ માર્કેટ પાસે આવેલા મુંબઈ પોલીસ કમિશનરેટ કમ્પાઉન્ડમાં આવેલી ક્રાઇમ બ્રાન્ચની પોલીસ-કસ્ટડીમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સલમાન ખાનના ઘર પર થયેલા ફાયરિંગના કેસમાં અનુજ થાપન અને સોનુ સુભાષ ચંદર બિશ્નોઈ પર હુમલાખોરો વિકી ગુપ્તા અને સાગર પાલને પિસ્ટલ સપ્લાય કરવાનો આરોપ છે. મુંબઈ પોલીસે અનુજની ૨૬ એપ્રિલે પંજાબથી ધરપકડ કરી હતી.
હાલમાં જ આ ફાયરિંગના કેસમાં મુંબઈ પોલીસે બધા જ આરોપીઓ સામે મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ (MCOCA) હેઠળ કેસ નોંધ્યો હતો અને સ્પેશ્યલ MCOCA કોર્ટે સોમવારે વિકી ગુપ્તા, સાગર પાલ અને અનુજ થાપનને ૮ મે સુધીની પોલીસ-કસ્ટડી આપી હતી, જ્યારે સોનુ સુભાષ ચંદર બિશ્નોઈને મેડિકલ ગ્રાઉન્ડ પર જેલ-કસ્ટડી આપવામાં આવી હતી.
ADVERTISEMENT
અનુજને અન્ય ૧૦ કેદીઓ સાથે રાખવામાં આવ્યો હતો, જેની સુરક્ષા ચાર પોલીસગાર્ડ કરી રહ્યા હતા. સવારે ૧૧ વાગ્યે તે બૅરૅક સાથે જ જોડાયેલા ટૉઇલેટમાં ગયો હતો જ્યાં તેણે રાતે સૂવા માટે આપેલી ચાદરથી ગળાફાંસો ખાઈ લીધો હતો. જ્યારે પોલીસને આ બાબતે જાણ થઈ એ પછી તેને નજીકની GT હૉસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ડૉક્ટરે તેને તપાસીને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. આ કસ્ટોડિયલ ડેથ સંદર્ભે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આઝાદ મેદાન પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર નીતિન તડાખેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આવા કેસમાં મરનારનું પોસ્ટમૉર્ટમ જે.જે. હૉસ્પિટલમાં થાય છે એટલે તેના મૃતદેહને ત્યાં મોકલવામાં આવ્યો હતો. અમે તેના પંજાબમાં રહેતા પરિવારને ઘટનાની જાણ કરી દીધી છે.’
આ બનાવની તપાસ થશે
આ કસ્ટોડિયલ ડેથ સદંર્ભે હવે તપાસ કરવામાં આવશે. દરેક કસ્ટડીમાં જનરલી ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા રાખવામાં આવતા હોય છે, જેથી કેદીઓની મૂવમેન્ટ પર નજર રાખી શકાય. ભૂતપૂર્વ ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારી પી. કે. જૈને કહ્યું છે કે ‘પોલીસ લૉક-અપમાં થતા દરેક મૃત્યુને હત્યા ગણવામાં આવે છે અને એ સદંર્ભે પોલીસ-સ્ટેશનના તમામ પોલીસ-કર્મચારીઓની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) દ્વારા તપાસ કરવામાં આવે છે. લૉકઅપમાં પોલીસ દ્વારા કસ્ટડીમાં રાખવામાં આવેલા કેદીઓ નાસી ન જાય અને તેઓ કોઈ વસ્તુથી આત્મહત્યા ન કરી લે એ બાબતનું ધ્યાન રાખવામાં આવતું હોય છે, છતાં ઘણા કેદીઓ ટૉઇલેટમાં જઈ તેમના પાયજામાથી ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દેતા હોય છે.’