અનામત મુદ્દે મરાઠા આંદોલનના વિરોધમાં હવે ઓબીસીનું આંદોલન
ફાઈલ તસવીર
મરાઠા સમાજને શિક્ષણ અને નોકરીમાં અનામત સહિતના અન્ય મુદ્દાઓના સંદર્ભે ફરી એક વાર મરાઠા ક્રાન્તિ મોરચા દ્વારા ૮ ડિસેમ્બરથી લૉન્ગ માર્ચ કરીને આંદોલનનું રણશિંગુ ફુંકાયું છે ત્યારે હવે એના વિરોધમાં ઓબીસી આંદોલન કરાશે, એમ ભૂતપૂર્વ વિધાનસભ્ય અને ઓબીસી નેતા પ્રકાશ શેંડગેએ જણાવ્યું છે. આ સંદર્ભે ૫ ડિસેમ્બરે ઓબીસી નેતાઓની ઔરંગાબાદમાં બેઠકનું આયોજન કરાયું છે, જેમાં આગળની રણનીતિ ઘડી કાઢવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.
પ્રકાશ શેંડગેએ કહ્યું છે કે ‘મરાઠા સમાજના બે દિગ્ગજ નેતાઓ ઉદયન રાજે ભોસલે અને સંભાજી રાજે બન્ને હાલમાં સંસદસભ્ય છે. તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને મરાઠા સમાજને અનામત આપવા રજૂઆત કરે. મરાઠાને અનામત આપવામાં આવે એનો અમે વિરોધ નથી કરી રહ્યા, પણ તેમને અનામત આપવા જતાં ઓબીસીની અનામતમાં કાપ મુકાય એ નહીં ચલાવી લેવાય. મૂળમાં મરાઠાને અપાયેલી અનામત કોર્ટમાં નહીં ટકે એમ અમે પહેલાં જ કહ્યું હતું, પણ એ વખતે અમારું કોઈએ સાંભળ્યું નહીં, એમ કહી તેમણે બીજેપીને ટોણો માર્યો હતો. મહાવિકાસ આઘાડીની સરકારને એક વર્ષ થયું છે, એમ છતાં, ઓબીસી અને ધનગરને કશું અપાયું નથી. અમારે આ ઝઘડામાં પડવું નહોતું, પણ મરાઠા સમાજ હવે આ બાબતે આક્રમક થઈ રહ્યો છે ત્યારે ઓબીસીના અધિકારો જતન કરવાની સરકારની જવાબદારી છે.’