“ગોપીનાથ મુંડેને કૉન્ગ્રેસમાં જોડાવું હતું, પરંતુ મનમોહન સિંહે તેમને રોક્યા હતા”
NCPના સિનિયર નેતા અજિત પવારે ગઈ કાલે દાવો કયોર્ હતો કે BJPના અગ્રણી નેતા ગોપીનાથ મુંડે તેમની પાર્ટીના વિધાનસભ્યો સાથે કૉન્ગ્રેસમાં જોડાવા ઇચ્છતા હતા પણ તેમની આ યોજના સફળ થઈ નહોતી, કારણ કે તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહે તેમને આમ ન કરવાની સલાહ આપી હતી અને BJPમાં કોઈ ફૂટ ન પાડવા જણાવ્યું હતું.
અજિત પવારે એક ન્યુઝ-ચૅનલને માહિતી આપી હતી કે ‘ગોપીનાથ મુંડે એ સમયે લોકસભાના નાયબ નેતા હતા અને તેઓ BJP છોડીને કૉન્ગ્રેસમાં જોડાવા તૈયાર હતા. તેમની સાથે પાશા પટેલ, માધુરી મિસલ, પ્રકાશ શેંડગે, પંકજા મુંડે (ગોપીનાથ મુંડેની પુત્રી) પણ BJP છોડવા તૈયાર હતાં. આ સમયે મનમોહન સિંહે અભિપ્રાય આપ્યો હતો કે BJPમાં ભંગાણ પાડવું યોગ્ય નથી અને મુંડેને કૉન્ગ્રેસમાં સામેલ કર્યા નહોતા.
મુંડે બીડથી BJPના સંસદસભ્ય હતા અને ૧૯૯૫થી ૧૯૯૯ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન હતા. ૨૦૦૯માં તેમને સુષમા સ્વરાજના સ્થાને લોકસભામાં વિરોધ પક્ષના નાયબ નેતા બનાવવામાં આવ્યા હતા. એ સમયે સુષમા સ્વરાજ લોકસભામાં વિરોધ પક્ષનાં નેતા હતાં. સુષમા સ્વરાજે પણ મુંડેને પાર્ટી છોડવા ટેકો આપ્યો હતો. એ સમયે હાલના મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, વિનોદ તાવડે અને સુધીર મુનગંટીવારે એ સુનિશ્ચિત કર્યું હતું કે મુંડે સાથે કોઈ વિધાનસભ્ય પાર્ટી છોડીને ન જાય.
મુંડે BJPના OBC કોમના મોટા નેતા હતા અને ૨૦૧૪ની ચૂંટણીમાં તેમણે શિવસેના અને ત્રણ નાની પાર્ટીઓ સાથે યુતિ કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
૨૦૦૮માં મુંડેએ મુંબઈ BJPના પદાધિકારીઓની નિમણૂક વિશે મતભેદ થવાથી તમામ સંસ્થાકીય પદો પરથી થોડા સમય માટે રાજીનામું આપ્યું હતું.
૨૦૧૪ની ૩ જૂને ગોપીનાથ મુંડે દિલ્હી ઍરપોર્ટ જતી વખતે થયેલા રોડ-અકસ્માતમાં મૃત્યુ પામ્યા.