માસ્ક માટે ગાંધીગીરી
વિરાર-ઈસ્ટમાં સ્ટેશન રોડ પર વસઈ તહસીલદાર કાર્યાલયના મહેસૂલ કર્મચારીઓ રસ્તા પર માસ્ક વગર ફરતા લોકોને ગુલાબનું ફૂલ આપી રહ્યા છે.
કોરોનાની મહામારી દરેક ઠેકાણે પગ ફેલાવી રહી છે અને કોરોનાનું મીટર સ્પીડમાં ભાગી રહ્યું હોવાથી શાસન વિવિધ પ્રકારની અનેક ઉપાય યોજના હાથ ધરી રહી છે. કોરોના-સંક્રમણને રોકવા માસ્ક પહેરીને જાહેરમાં જવાનું ફરજિયાત બનાવાયું છે અને એમ ન કરનારને મહારાષ્ટ્ર સરકારે દંડ જાહેર કર્યો છે. આમ છતાં અનેક નાગરિકો નિયમોનું પાલન ન કરતાં માસ્ક પહેર્યા વગર જ રસ્તા પર ફરતા જોવા મળે છે અને એને કારણે સંક્રમણ વધી રહ્યું છે. એવામાં વસઈ તહસીલદાર દ્વારા એક નવો ઉપક્રમ હાથ ધરાયેલો જોવા મળ્યો છે. માસ્ક વગર ફરતા નાગરિકો સામે ગાંધીગીરી કરીને તેમને ગુલાબનું ફૂલ અપાઈ રહ્યું છે તેમ જ વિનંતી કરવામાં આવે છે કે માસ્ક પહેરો. પ્રશાસન દ્વારા કરાયેલા આ ઉપક્રમથી નાગરિકો કોરોનાના નિયમોનું પાલન કડક રીતે કરશે એવી આશા રખાઈ રહી છે.
આ વિશે વસઈનાં તહસીલદાર ઉજ્જ્વલા ભગતે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને લોકોમાં જનજાગૃતિ ફેલાવવા અને તેમને માસ્ક પહેરવા મોટિવેટ કરવા માટે લોકોને ગુલાબનું ફૂલ આપીને તેમને સમજાવવામાં આવે છે. ૬ સર્કલ ઑફિસરો તેમની ટીમ સાથે આ કામ કરી રહ્યા છે. ગાંધીગીરી કરીશું તો લોકોને પણ મનમાં થોડું લાગશે અને તેઓ માસ્ક પહેરવાનું ભૂલશે નહીં.’