મુંબઈ : બત્તી ગુલ થતાં ભાંડુપમાં વૉટર-સપ્લાયમાં પડી અસર
પ્રતીકાત્મક તસવીર
મુંબઈગરાઓએ ગઈ કાલે ૬થી ૭ કલાક વીજળી વિના અંધારામાં રહેવાનો અણધાર્યો વારો આવ્યો હતો, પણ ભાંડુપવાસીઓનો ગઈ કાલનો દિવસ બમણી સમસ્યા સાથે વીત્યો હતો. વીજળી ન હોવા ઉપરાંત ભાંડુપ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ફેલ થતાં પાવર ફેલ્યરની સમસ્યા સર્જાઈ હતી જેને લીધે આખો દિવસ પાણી વગર રહેવાનો વારો આવ્યો હતો. હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટ આ સમસ્યાના નિદાન પર કામ કરી રહી છે અને કેટલાક એરિયામાં આજે પાણી છોડવામાં આવશે. શહેરને તાનસા અને ભાત્સા નદીમાંથી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. ભાંડુપ અને યેવાઈ નજીક આવેલા માસ્ટર બૅલૅન્સિંગ રિઝર્યોયર (એમબીઆર) ખાતે કેટલું પાણી સ્ટોર કરવામાં આવ્યું હતું જે પછીથી ૨૭ સર્વિસ રિઝર્વોયરમાં પહોંચાડવામાં આવ્યું હતું.
‘એલ’ વૉર્ડના કૉર્પોરેટર હરીશ ભાંડીર્ગેએ કહ્યું કે ‘ઘાટકોપરમાં બેથી ચાર વાગ્યા દરમ્યાન પાણી આવે છે, પણ આજે પાણી મોડું પહોંચાડવામાં આવ્યું હતું. હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટ પાસેથી અમને મેસેજ મળ્યો હતો કે મેજર પાવર ફેલ્યરને કારણે સપ્લાય મોડેથી કરવામાં આવશે.’
ADVERTISEMENT
આ ઉપરાંત ‘જી’ નૉર્થ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર કિરણ દિઘાવકરે જણાવ્યું કે ‘પાવર સપ્લાય ખોરવાતાં પહેલાં અમારે ત્યાં પાણીની સપ્લાય નિયમિત હતી. બપોરે પાણી નહોતું આવ્યું. અમને પછી મેસેજ આવ્યો કે એરિયામાં રાત્રે ૮થી ૧૦ દરમ્યાન પાણી છોડવામાં આવશે.’
એક બાજુ જ્યાં ધારાવીમાં રાતે પાણી પહોંચાડવામાં આવશે ત્યારે ચારકોપ જેવા એરિયામાં ૪૮ કલાક બાદ ૧૧.૩૦થી દોઢ વાગ્યા દરમ્યાન પાણી પહોંચાડવામાં આવશે. વીજળી અને પાણીની સમસ્યા સર્જાતાં હૉસ્પિટલોમાં પણ સમસ્યા સર્જાઈ હતી.