કોવિડ સેન્ટરના કૌભાંડમાં સંડોવાયેલા ડૉક્ટરની જામીનઅરજી રિજેક્ટ, કોર્ટે કહ્યું...
પ્રતીકાત્મક તસવીર
કોવિડ વખતે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા આપવામાં આવેલા વિવિધ કૉન્ટ્રૅક્ટમાં થયેલા આર્થિક ગોટાળાઓ સંદર્ભે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા ચાલી રહેલા મની લૉન્ડરિંગના કેસમાં પકડાયેલા BMCના ડૉક્ટર કિશોર બિસુરેની જામીનઅરજી સ્પેશ્યલ કોર્ટે એમ કહીને નકારી કાઢી છે કે તમે આ કેસમાં દોષી નથી એવું માનવાનું કોઈ કારણ નથી, જો તમને જામીન પર છોડવામાં આવશે તો ED દ્વારા જે તપાસ હાથ ધરાઈ છે એ અટકી જાય એવી શક્યતા છે એટલે જામીન નહીં મળે.
સ્પેશ્યલ કોર્ટના જજ એમ. જી. દેશપાંડેએ જામીનઅરજી નકારતાં આપેલા ઑર્ડરમાં સ્પષ્ટ કહ્યું હતું કે પ્રાથમિક પુરાવાઓમાં એવું જણાઈ આવ્યું છે કે દહિસર કોવિડ સેન્ટરનો કૉન્ટ્રૅક્ટ મેળવનાર લાઇફલાઇન હૉસ્પિટલ મૅનેજમેન્ટ સર્વિસિસ દ્વારા એ કોવિડ સેન્ટરમાં જે ડૉક્ટર, નર્સ અને અન્ય નિમાયેલો સ્ટાફ એના રેકૉર્ડમાં દર્શાવ્યો હતો તેમનાં બિલ અને વાઉચર રેઇઝ કરીને પેમેન્ટ લેવામાં આવ્યું હતું, જ્યારે ઍક્ચ્યુઅલમાં એટલો સ્ટાફ ત્યાં કામ કરતો નહોતો અને આ બાબતની આરોપી ડૉ. કિશોર બિસુરેને જાણ હતી એટલું જ નહીં, એ કોવિડ સેન્ટરના ડૉક્ટરો દ્વારા જ્યારે આ બાબતે ડૉ. કિશોર બિસુરેનું ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે ડૉ. બિસુરેએ તેમને એમ કહ્યું હતું કે જે રેકૉર્ડમાં લખાયેલું છે એને જ માનીને ચાલો. આમ તેમણે એ કૉન્ટ્રૅક્ટ મેળવનાર કંપનીએ સબમિટ કરેલાં બિલ અને વાઉચર પાસ કર્યાં હતાં. આમ જાણ હોવા છતાં તેમણે એ બિલ અને વાઉચર પાસ કર્યાં હોવાથી તેમની સામે ગુનો બને છે એટલે તેમને જામીન નહીં મળે એવો ઑર્ડર કોર્ટે પાસ કર્યો હતો.