મુંબઈ : 1800 કૉવિડ બેડ, પણ ઝીરો મેડિકલ સ્ટાફ
મુલુંડ પશ્ચિમમાં એલબીએસ માર્ગ પરનો કોવિડ હેલ્થ સેન્ટર
એક સપ્તાહ અગાઉ મુખ્ય પ્રધાન દ્વારા જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું એ મુલુંડના ૧૮૦૦ બેડની સુવિધા ધરાવતું સમર્પિત કોવિડ હેલ્થ સેન્ટર (સીએચસી) મેડિકલ સ્ટાફના અભાવે વપરાશ વિના ધૂળ ખાઈ રહ્યું છે. આ સમયે જ્યારે કોવિડ-19થી પ્રભાવિત નગરજનો આઇસીયુ બેડ શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે આ સુવિધામાં ૨૧૫ આઇસીયુ બેડ ઉપલબ્ધ છે.
સિડકો દ્વારા નિર્મિત આ સુવિધામાં થાણેના ૫૦૦ દરદીઓને પણ સમાવવાના હતા. બીએમસીના સત્તાવાર ડેટા પ્રમાણે શહેરમાં કુલ ૨૨૮૨૧ બેડ છે એમાંથી ૧૦૦૮૧ બેડ ખાલી છે. મુલુંડ સીએચસી ૧૫૬૦ આઇસોલેશન બેડ, ૨૧૫ આઇસીયુ બેડ અને ડાયાલિસિસના દરદીઓ માટે ૭૫ બેડ ધરાવે છે.
ADVERTISEMENT
આ સુવિધા પૂર્વીય પરાં વિસ્તારોના રહેવાસીઓને સેવા પૂરી પાડવા માટે ઊભી કરવામાં આવી હતી. મે મહિનામાં પ્લાન કરાયેલી અને ૮ જૂન સુધીમાં કાર્યરત થવાનો અંદાજ ધરાવતી આ સુવિધાનું ઉદ્ઘાટન ૭ જુલાઈએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સુવિધા ટૂંક સમયમાં કાર્યરત થવાની અમને અપેક્ષા હતી. એ થાણે તથા મુલુંડના નિમ્ન તથા મધ્યમ વર્ગના લોકો માટે ઉપયોગી નીવડશે, પરંતુ આશ્ચર્યજનક રીતે કશું થયું નથી. આ સુવિધા મેડિકલ સ્ટાફ તેમ જ દરદીઓની રાહ જોઇ રહી છે, એમ બીએમસીના અધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું હતું.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના મુલુંડ એકમના પ્રમુખ રાજેશ ચવાણે જણાવ્યું કે રોજ ‘ટી’ વૉર્ડમાં ૯૦થી ૧૦૦ કેસ આવી રહ્યા છે. આ સુવિધા મદદરૂપ બનશે. અત્યારે દરદઓીએ બેડ ન હોય તો નાયર હૉસ્પિટલ અથવા પ્રાઇવેટ હૉસ્પિટલમાં જવું પડે છે, જે ભારે ઊંચો ચાર્જ વસૂલે છે.
અમે સીએચસી માટે મેડિકલ સ્ટાફ ગોઠવી રહ્યા છીએ અને સુવિધા શુક્રવારથી કાર્યરત થઈ જશે. અત્યારે ‘ટી’ વૉર્ડની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. ત્યાં સુધી આઇસીયુ તથા કોવિડ-19થી સંક્રમિત ડાયાલિસિસના દરદીઓને સુવિધા પૂરી પાડી શકાય છે.
- કિશોર ગાંધી, ‘ટી’ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર
સુવિધા જૂનમાં તૈયાર થઈ જવાની હતી, એક મહિનાનો વિલંબ થયો છે. ડાયાલિસિસ અને આઇસીયુ બેડ તૈયાર નથી. નાગરિકોએ ખર્ચાળ ખાનગી સુવિધાઓમાં જવાની ફરજ પડે છે.
- મિહિર કોટેચા, વિધાનસભ્ય