દૂધ અને શાકભાજીના વેપારીઓએ ટ્રેનમાં પ્રવાસની માગણી કરી
દૂધ અને શાકભાજીના વેપારીઓએ ટ્રેનમાં પ્રવાસની માગણી કરી
દહાણુના પ્રવાસીઓની એક સંસ્થાએ રાજ્ય સરકાર અને મહારાષ્ટ્ર વિધાનસભાને પત્ર લખી ખાદ્ય પદાર્થના વેપારીઓ જેવા કે માછીમાર, શાકભાજી વેચનારાઓ તથા દૂધવાળાઓને તબક્કાવાર રીતે ટ્રેનના માલસામાનના ડબ્બામાં ચડવાની પરવાનગી આપવા વિનંતી કરી છે.
કોવિડ-19ની મહામારીને કારણે લોકો પર ઘણું નાણાકીય દબાણ આવ્યું છે પરંતુ રોજની આવક પર નભતા શાકભાજીવાળાઓ, માછીમારો અને દૂધવાળાઓની હાલત વધુ કફોડી છે.
તેમની રોજગારી રોજ વૈતરણા અને દહાણુથી મુંબઈ પરિવહન પર નભે છે. સામાન્ય માણસોને પ્રવાસની છૂટ નથી તથા રોડ દ્વારા પ્રવાસ વધુ ખર્ચાળ હોવા ઉપરાંત એમાં વધુ સમય લાગે છે તેમ જ એમાં માલ ખરાબ થવાની પણ સંભાવના રહેલી છે એમ દહાણુ વૈતરણા પ્રવાસી સેવાભાવી સંસ્થાના જૉઇન્ટ સેક્રેટરી પ્રથમેશ પ્રભુ તેન્ડુલકરે જણાવ્યું હતું.
નૉન-પીક અવર્સમાં આવા વેપારીઓને પ્રવાસની છૂટ આપવી યોગ્ય રહેશે. એનાથી ખરીદદારોને તાજી ચીજવસ્તુઓ મળશે, જે દેશ માટે જીતની સ્થિતિ લાવી શકશે.
રાજ્ય સરકારની ભલામણ મુજબ નવી કૅટેગરીના લોકોને ટ્રેનમાં પ્રવાસની મંજૂરી આપવામાં આવી છે એમ જણાવતાં રેલવે અધિકારીએ કહ્યું હતું કે આ સંબંધે સરકાર તરફથી હજી સુધી કોઈ નિર્દેશ આવ્યા નથી.
મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને સ્થાનિક ટ્રેનોને લગતા કોઈ પણ નિર્ણય કોવિડ-19ના પેશન્ટોના આંકડાઓની વધ-ઘટના આધારે લેવામાં આવશે. રાજ્યને હવે પહેલાં કરતાં વધુ સજાગ રહેવાની જરૂર છે.