કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં કમિશનરે આપી ચેતવણી
કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન
કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)નાં કમિશનર ડૉ. ઇન્દુરાણી જાખડે ગઈ કાલે બહુ સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી હતી કે ચૂંટણીને જોતાં સુધરાઈની પરવાનગી લીધા વગર લગાડવામાં આવતાં રાજકીય પોસ્ટરો, બૅનરો, હોર્ડિંગ્સ, બોર્ડ, ઝંડા અને કમાનને ગેરકાયદે ગણીને એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
KDMCનાં કમિશનર ડૉ. ઇન્દુરાણી જાખડે ગઈ કાલે આ સંદર્ભે ઍડિશનલ કમિશનર મંગેશ ચિતળે અને ડેપ્યુટી કમિશનર–ઇલેક્શન રમેશ મિસાળ સહિત KDMCના દરેક પ્રભાગના અસિસ્ટન્ટ કમિશનર સાથે શહેરના મંડપ-કૉન્ટ્રૅક્ટર્સ, પ્રિન્ટર્સ, પબ્લિશર્સની એક સંયુક્ત બેઠકનું આયોજન કર્યું હતું. એ બેઠકમાં તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘ઉમેદવાર અથવા પક્ષના પ્રતિનિધિ જ્યારે પ્રિન્ટિંગ-પ્રેસને ઑર્ડર આપે ત્યારે એમના બે લોકોનાં આઇડેન્ટિફિકેશન કાર્ડ, કેટલી સંખ્યામાં પોસ્ટર છાપવાનાં છે એ, દરેક પોસ્ટર પર એનો સિરિયલ-નંબર, કેટલા દિવસની પરવાનગી લેવાઈ છે એની તારીખની સાથે જ પબ્લિશરનું નામ અને મોબાઇલ-નંબર પણ દરેક પોસ્ટર પર હોવાં જોઈએ. સુધરાઈની પરવાનગી લેવાઈ હોય તો પણ ઉપરોક્ત વિગતો જો પૉસ્ટર કે બૅનર પર જોવા નહીં મળે તો એ ગેરકાયદે ગણાશે અને એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જ્યાં સુધીની મુદત માટેની પરવાનગી આપવામાં આવી હોય એ પછી એ પોસ્ટર કે બૅનર સંબંધિત પાર્ટીએ જ ઉતારવાનાં રહેશે, નહીં તો તેમની પાસેથી એ બાબતે દંડ વસૂલ કરવામાં આવશે.’