ડિસેમ્બર મહિનાના બીજા-ત્રીજા સપ્તાહમાં ભારત પાસે કોરોના વૅક્સિન હશે!
પ્રતીકાત્મક તસવીર
દેશમાં કોરોના સંક્રમણના વધી રહેલા મામલાઓ વચ્ચે ભારત માટે રાહતરૂપ ખબર આવી છે. કોરોનાની રસી બનાવી રહેલા સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ આદર પુનાવાલાએ ભારતમાં કોરોનાની રસી ક્યારે આવશે એ વિશે મહત્ત્વપૂર્ણ જાણકારી શૅર કરી છે.
પુનાવાલાનું કહેવું છે કે આ વર્ષે જ ડિસેમ્બર મહિના સુધીમાં કોરોનાની રસી તૈયાર થઈ જશે. જોકે વૅક્સિન બનીને તૈયાર થાય એ બાબત ઘણા ખરા અંશે બ્રિટનના ટેસ્ટિંગ અને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાની મંજૂરી પર આધાર રાખે છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટી અને અન્ય દવા કંપની દ્વારા બનાવાયેલી રસી પર સંયુક્ત રીતે કામ થઈ રહ્યું છે ત્યારે પુનાવાલાનું કહેવું છે કે બ્રિટનમાં આ રસીની ઍડ્વાન્સ ટ્રાયલ ચાલી રહી છે.
ADVERTISEMENT
તેમના મતે જો બ્રિટન ડેટા શૅર કરશે તો ઇમર્જન્સી ટ્રાયલ માટે સ્વાસ્થ્ય મંત્રાલય સમક્ષ અરજી કરવામાં આવશે. એને મંજૂરી મળતાં જ ભારતમાં રસીનું ટેસ્ટિંગ કરી શકાશે. આ ટેસ્ટિંગમાં સારાં પરિણામ મળ્યાં તો ડિસેમ્બર મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહમાં ભારત પાસે કોરોના વૅક્સિન હશે.