આજે દેશભરમાં સિવિલ ડિફેન્સ મૉક ડ્રિલ યોજાઈ રહી છે ત્યારે...
પ્રણવ દેસાઈ, કલ્પના જાની, સૂચિતા ભટ્ટ, પલ્લવી ભટ્ટ
૧૯૭૧ પછી જન્મેલા ભારતીયો માટે આજે થનારી મૉક ડ્રિલનો અનુભવ નવો જ હશે. ધરતીકંપ, ફાયર-સેફ્ટી વગેરે માટે સ્કૂલો, ઑફિસો અને જાહેર જગ્યાઓએ ઘણી વખત મૉક ડ્રિલ કરવામાં આવતી હોય છે; પરંતુ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સેફ રહેવા માટેની મૉક ડ્રિલ ૫૪ વર્ષમાં પ્રથમ વખત જ થઈ રહી છે. કારગિલ યુદ્ધ વખતે પણ સાઇરન વાગી હતી, પરંતુ માત્ર સરહદી વિસ્તારમાં જ. જોકે આજે સમગ્ર દેશમાં વૉર સાઇરન વાગવા જઈ રહી છે જેને લઈને લોકોમાં અનેક સવાલોની સાથે ભય પણ જન્મ્યો છે ત્યારે જાણીએ કે આવી સ્થિતિ જ્યારે પાંચ દાયકા પહેલાં સર્જાઈ હતી ત્યારે લોકોએ કેવી રીતે એને હૅન્ડલ કરી હતી, તેમને કેવા-કેવા અનુભવો થયા હતા અને કેવા પ્રસંગો સર્જાયા હતા જે આજે પણ તેમને બરાબર યાદ છે. આજે આપણે એવા જ કેટલાક લોકોના મૉક ડ્રિલ વખતના અનુભવો શૅર કરવા જઈ રહ્યા છીએ જેમાંના કેટલાક તો બે યુદ્ધ વખતની મૉક ડ્રિલના સાક્ષી પણ બની ચૂક્યા છે.
સિવિલ ડિફેન્સની ટ્રેઇનિંગ લીધેલી
ADVERTISEMENT
મને ૧૯૬૫ અને ૧૯૭૧ એમ બન્ને વૉરની મૉક ડ્રિલ વખતનો અનુભવ છે એમ જણાવતાં સાન્તાકુઝમાં રહેતા ૭૪ વર્ષના પ્રણવ દેસાઈ કહે છે, ‘એક વૉર વખતે હું સ્કૂલમાં હતો અને બીજી વૉર વખતે કૉલેજમાં હતો. બન્ને સમયે અમને ટ્રેઇનિંગ આપવામાં આવી હતી. સેફ જગ્યાએ બેસી જવાની અને માથું બચાવવાની ટ્રેઇનિંગ તો અપાઈ જ હતી, સાથે કાનને બંધ કરવા માટે જણાવ્યું હતું કેમ કે ધડાકા વખતે કાનના પડદાને નુકસાન થવાની શક્યતા વધી જતી હોય છે. એ સમયે બે સાઇરન વાગતી હતી. એક સાઇરન વખતે લોકોએ સતર્ક થઈને સુરક્ષિત થઈ જવાનું રહેતું અને બીજી સાઇરન વાગે એટલે બધું નૉર્મલ થઈ ગયું છે એમ સમજવાનું. બન્ને સાઇરનના અવાજમાં પણ ફેરફાર હતો એટલે લોકો સમજી શકે. ત્યારે સાઇરન ખારમાં કમલા હાઈ સ્કૂલની ઉપર મૂકવામાં આવી હતી. ત્યારે સિવિલ ડિફેન્સની પણ ટ્રેઇનિંગ આપવામાં આવી હતી. જો કોઈને વાગ્યું હોય, આસપાસ કોઈ ન હોય અને તમે એકલા જ હો તો તમે તે વ્યક્તિને કેવી રીતે બચાવી શકો છો, તેને કેવી રીતે પીઠ પર લઈ જઈ શકો છો વગેરે એ સમયે શીખવ્યું હતું. મારા પપ્પાએ એ વખતે ખારમાં સિટિઝન્સ ડિફેન્સ કમિટીની રચના કરી હતી અને અનેક લોકોને શીખવ્યું પણ હતું. હું પોતે પણ ડિફેન્સ કમિટીમાં રહ્યો છું.’
સ્કૂલમાં આપી હતી ટ્રેઇનિંગ
સાંતાક્રુઝમાં રહેતાં બૅન્કનાં નિવૃત્ત કર્મચારી ૭૧ વર્ષનાં કલ્પના જાની કહે છે, ‘જીવનના અમુક પ્રસંગો તમે ક્યારેય ભૂલી શકતા નથી. ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયું ત્યારે હું સાંતાક્રુઝની સાધના સ્કૂલમાં નવમા ધોરણમાં ભણતી હતી. ત્યારે અમને સ્કૂલમાં ટ્રેઇનિંગ આપવામાં આવી હતી કે જેવી સાઇરન વાગે એટલે તરત અલર્ટ થઈ જવાનું, જો તમે સ્કૂલમાં હો તો બેન્ચ નીચે બેસી જવાનું, જો ઘરે હો તો ખાટલા નીચે કે પછી ખુરસી કે ટેબલ નીચે બેસી જવાનું અને જો રસ્તામાં હો તો એવી રીતે બેસી જવાનું કે તમારું માથું સેફ રહે, જો રસ્તામાં ખાડો હોય તો ત્યાં માથું નીચેની તરફ રહે એ રીતે રાખી ઉપર હાથ મૂકીને પોતાની જાતને બચાવી લેવાની. ત્યારે તો ત્રણ માળથી ઊંચાં મકાનો અમારા વિસ્તારમાં હતાં જ નહીં અને ખુલ્લી જગ્યાઓ ઘણી હતી એટલે અમને જ્યાં જવાનું થાય ત્યાં સાથે હાથ પકડીને જવાની સલાહ આપવામાં આવતી હતી. અમારું ઘર પણ એ સમયે નળિયાંવાળું હતું જેમાંથી ઘરની લાઇટનો પ્રકાશ બહાર ફેંકાતો હતો એટલે અમે એના પર પેપરો ચોંટાડી દીધાં હતાં. ત્યારે જન સંઘ નામનો પક્ષ હતો. એના કાર્યકરો બધે ફરી-ફરીને લોકોને સાવચેતીનાં પગલાં કેવી રીતે લેવાં એ સમજાવતા હતા. અમારા પાડોશી મિલિટરીમાં હતા અને તેમણે અમને ખૂબ મદદ કરી હતી એટલું જ નહીં, ડરવાને બદલે હિંમત રાખવા કહ્યું હતું.’
ઘરના કાચ પર ડાર્ક કલરના પેપર લગાવી દીધેલા
યુદ્ધ દરમ્યાનની યાદોને તાજી કરતાં દહિસરમાં રહેતાં ૫૯ વર્ષનાં સૂચિતા ભટ્ટ કહે છે, ‘૧૯૬૫ના યુદ્ધ વખતે તો હું હતી નહીં. જોકે ૧૯૭૧ના યુદ્ધ વખતે હું હતી, પણ માંડ પાંચ-છ વર્ષની હોઈશ. મને થોડું-થોડું યાદ છે અને બાકીનું મારાં મમ્મી-પપ્પાએ મને કહ્યું હતું. એ સમયે સાઇરન વાગે એટલે ઘરની લાઇટ કમ્પલ્સરી બંધ કરી દેવાની રહેતી હતી. જોકે એ સમયે હું તો નાની હતી જ અને સાથે મારી નાની બહેન માંડ એકાદ વર્ષની જ હતી એટલે ઘરમાં લાઇટ ચાલુ રાખવી પડે એમ હતી. એટલે મારા પપ્પા ઘરમાં ડાર્ક કલરના પેપર લઈ આવ્યા હતા એ બધા કાચ પર ચોંટાડી દીધા હતા એટલે લાઇટ ચાલુ હોય તો પણ એનો પ્રકાશ બહાર જતો નહીં. એ સમયે સતર્કતા એટલી હતી કે મારી નાની બહેનથી રસોડામાં વાસણો ધડામ કરીને નીચે પડી ગયાં એનો અવાજ એટલો બધો આવ્યો કે નીચે પોલીસ ઘોડા પર રાઉન્ડ મારી રહી હતી તેમણે બૂમ પાડીને અમને પૂછ્યું કે શું થયું છે ઘરમાં? કેમ આવો અવાજ આવ્યો? હું જે સ્કૂલમાં હતી ત્યાં જ ઉપર સાઇરન હતી એટલે સાઇરન વાગે ત્યારે હૃદયના ધબકારા વધી જતા હતા અને અમે એમાં પાછા અમે નાના એટલે ખૂબ જ ડરી જતા હતા.’
ત્યારે સેફ રહેવાની સાથે દેશભક્તિ પણ વધારી હતી
૧૯૭૧ દરમ્યાન લોકોને સુરક્ષિત કેવી રીતે રહેવું એ તો શીખવવામાં આવતું જ હતું, સાથે દેશભક્તિ વિશે પણ એટલું જ સિંચન કરવામાં આવતું હતું એ વિશે જણાવતાં કાંદિવલીમાં રહેતાં ૭૨ વર્ષનાં પલ્લવી ભટ્ટ કહે છે, ‘૧૯૭૧ની વૉર વખતે હું મીઠીબાઈ કૉલેજમાં પ્રથમ વર્ષમાં ભણતી હતી. વૉર શબ્દ એટલો ખતરનાક છે કે બાળકો ગભરાઈ જાય. વૉરની ટ્રેઇનિંગ તો મળી જાય, પણ આવા સમયે મનોબળ મજબૂત કરવાનું સૌથી મહત્ત્વનું હતું અને એ માટે અમારામાં એ સમયના શિક્ષકોએ - ખાસ કરીને નગીનદાસ સંઘવીએ ખૂબ જ દેશભક્તિની ભાવના જગાવી હતી. એ વખતે સિવિલ ડિફેન્સનું ઘણું મહત્ત્વ હતું. ૧૯૬૫ પછી યુદ્ધ વખતે સ્કૂલોમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમને અનુલક્ષીને બાળસભા યોજાતી હતી. કરસનદાસ માણેક વગેરે સ્વતંત્રતાસેનાનીઓનાં પ્રવચનો ગોઠવાતાં હતાં. લદ્દાખના લડવૈયાના લેખક હરીશ નાયકની વાર્તાઓ અખબારમાં આવતી. રમકડું વિજય ગુપ્ત મૌર્યનું બાળમૅગેઝિન. એમાં ઘણી રહસ્યમય અને સાહસકથાઓમાં દેશપ્રેમની વાર્તાઓ આવતી જે વાંચીને બાળકો નીડર બની રહ્યાં હતાં. એ સમયની વાત કરું તો એક દુશ્મન દેશનું વિમાન મુંબઈ નજીક ધસી આવ્યું છે એવા સમાચાર રેડિયો પર વહેતા થયા હતા જેની સાથે અમે બધા ખૂબ જ ડરી ગયા હતા. સાઇરન વાગી ગઈ હતી, પણ આપણાં ભારતીય વિમાનો એને ઘેરી વળતાં એ જતું રહ્યું હતું અને લોકોમાં હાશકારો થયો હતો. જોકે ઘણાં વર્ષો વીતી ગયાં હોવાથી મને બધું યાદ નથી.’

