સભાનતાના અભાવે કે પછી અજ્ઞાન વચ્ચે અમુક ચીજવસ્તુઓ ઘર કે ઑફિસમાં જાહેરમાં પડી હોય એવું બનતું હોય છે, જે દુષ્પરિણામ માટે કારક બનતી હોવાથી એવી ચીજવસ્તુઓ જાહેરમાં રાખવાનું ટાળવું જોઈએ
પ્રતીકાત્મક તસવીર
નાનું ઘર હોય એટલે કે પછી સભાનતાનો અભાવ કે પછી અજ્ઞાનતા. સામાન્ય સંજોગોમાં મોટા ભાગના લોકો અમુક એવી ચીજવસ્તુ જાહેરમાં રાખતા હોય છે જે રાખવી હિતાવહ નથી કારણ કે એ નકારાત્મકતા કે પછી દુષ્પરિણામની કારક બને છે અને એવું ન બને એટલે એ ચીજ જો જાહેરમાં રાખવામાં આવતી હોય તો એને તાત્કાલિક રોકવી જોઈએ.
આજે વાત કરીશું એવી ચીજવસ્તુઓની જે ઘરમાં જાહેરમાં ન રાખવી જોઈએ.
ADVERTISEMENT
શૂઝ કે ચંપલ જાહેરમાં નહીં
ઘરમાં પ્રવેશતી વખતે સીધા જ શૂઝ કે ચંપલ દેખાય એવી રીતે એને મૂકવાં નહીં. ઘરનું મુખ્ય પ્રવેશદ્વાર લક્ષ્મીનું આગમન દ્વાર છે, જ્યારે શૂઝ-ચંપલ નકારાત્મકતાનું પ્રતીક છે. ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે રાખવામાં આવતાં શૂઝ-ચંપલ લક્ષ્મીના આગમનમાં અવરોધક બને છે જેને લીધે પરિવારમાં આર્થિક ઉપાર્જન સાથે સંકળાયેલા લોકોની કરીઅરમાં બાધા ઊભી થાય છે. પૈસા સરળતા અને સહજતા સાથે કમાઈ નથી શકાતા તો સાથોસાથ ધારણા મુજબની ઇન્કમ નથી થતી.
એક આડ વાત. શૂઝ-ચંપલ શક્ય હોય ત્યાં સુધી દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખવાં જોઈએ. યાદ રાખજો, પ્રગતિની દિશા ઉત્તર અને પૂર્વ છે એટલે એ દિશામાં સંભવ હોય ત્યાં સુધી કોઈ પણ જાતની અડચણ રાખવી નહીં.
આંતરવસ્ત્રોનું પ્રદર્શન નહીં
આંતરવસ્ત્રો. હા, અન્ડરગાર્મેન્ટ્સને જાહેરમાં ક્યારેય રાખવાં નહીં કે પછી ધોયા પછી એને જાહેરમાં સૂકવવાં નહીં. જાહેરમાં સૂકવવામાં આવતાં કે પછી રાખવામાં આવતાં આંતરવસ્ત્રો પતિ-પત્ની કે અન્ય પર્સનલ રિલેશનશિપ પર નકારાત્મક અસર કરે છે અને સંબંધોમાં સ્ટ્રેસ ઊભું કરે છે.
જો ઘરમાં કપડાં સૂકવવા માટે સગવડ ન હોય તો આંતરવસ્ત્રોને રાતના સમયે સૂકવીને વહેલી સવારે અન્યની નજર પડે એ પહેલાં હટાવી લેવાં જોઈએ. એવી જ રીતે જો ઘરમાં રાખવાની સગવડ ન હોય તો આંતરવસ્ત્રોને મુખ્ય કપડાંની પાછળ, કોઈને દેખાય નહીં એ રીતે ગોઠવવાં જોઈએ.
તૂટેલી-ફૂટેલી ચીજવસ્તુઓ
ફાટેલા ઓછાડ, તકિયાનાં કવર કે પછી તૂટેલી-ફૂટેલી એક પણ ચીજ જે સહજ રીતે લોકોની નજરમાં આવે એને રાખવી જોઈએ નહીં. આર્થિક રીતે પરવડતું ન હોય તો ફાટેલા ઓછાડ કે તકિયાનાં કવરને યોગ્ય રીતે સાંધીને એનો ઉપયોગ કરવો જોઈએ તો તૂટેલી-ફૂટેલી ચીજ ફેંકી શકાય એમ ન હોય તો સહજ રીતે એ ચીજવસ્તુ નજરે ન ચડે એનું ધ્યાન રાખીને એને એવી રીતે મૂકી દેવી જોઈએ તથા જ્યારે અનિવાર્ય હોય ત્યારે જ એને વપરાશ માટે કાઢવી જોઈએ.
ઘણા લોકો વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા હોય છે. એ બનાવવું ખરાબ નથી, પણ એ બનાવતાં પહેલાં એકત્રિત કરેલો વેસ્ટ એટલે કે નિકાલનો સામાન જાહેરમાં પડ્યો ન હોવો જોઈએ. કોઈએ વપરાશ કરેલી ચીજવસ્તુ પોતાની સાથે તે વ્યક્તિની એનર્જી પણ લાવતી હોય છે અને નકારાત્મક ઊર્જા હંમેશાં ઝડપથી આવે છે એટલે આવી ચીજવસ્તુઓને ઢાંકીને કે ડ્રૉઅરમાં રાખવી જોઈએ.
પુસ્તકો હંમેશાં વ્યવસ્થિત રાખો
જો ઘરમાં બાળકો હોય અને તેઓ પોતાની સ્કૂલ-બુક્સને અસ્તવ્યસ્ત મૂકી દેતાં હોય તો એ પ્રક્રિયા બંધ કરવી. જ્ઞાનના માર્ગ સમાન એ બુક્સ વ્યવસ્થિત મૂકવાની આદત તેમણે પાળવી જોઈએ અને ધારો કે એવું ન થઈ શકતું હોય તો એ કામ ઘરના વડીલોએ સંભાળી લેવું જોઈએ. ધારો કે કૉલેજમાં ભણતાં હોય એ ઉંમરનાં સંતાનો હોય તો તેઓ પોતાના પ્રોજેક્ટ્સને લગતી એક પણ ચીજ ખુલ્લામાં ન મૂકે એ માટે તેમને સમજાવો કે એનર્જી બહુ અગત્યની છે, એનો વેડફાટ ન થવો જોઈએ. પુસ્તકો નિર્જીવ છે પણ એમાં એનર્જી છે અને એટલે જ એનો ઉપયોગ કરવામાં આવે છે. અસ્તવ્યસ્ત પડેલાં પુસ્તકોની એનર્જી એક જગ્યાએ સંગ્રહિત નથી થતી એટલે સારું રિઝલ્ટ લાવવામાં એ બાધક બને છે.
અહીં વાત માત્ર સ્કૂલનાં પુસ્તકોની જ નથી. જ્ઞાન આપતાં કોઈ પણ પુસ્તકોને સાચવીને વ્યવસ્થિત રાખવાં જોઈએ. ઘરમાં લાઇબ્રેરી બનાવી હોય તો અતિ ઉત્તમ, પણ એ લાઇબ્રેરીની નિયમિત સાફસફાઈ કરવી જરૂરી છે.
વપરાશમાં લીધેલી તમામ ચીજવસ્તુઓ
ઉદાહરણ તરીકે શાવર લીધા પછીનો ટુવાલ. હવે એનો ઉપયોગ બીજા જ દિવસે કે પછી રાતે જ થવાનો છે તો એ ટુવાલ ક્યાંય ઉડાડવો ન જોઈએ. જમ્યા પછીની એંઠી પ્લેટ પણ ડાઇનિંગ ટેબલ પર પડી રહેવી જોઈએ નહીં. એને તરત બેસિનમાં મૂકી દેવી જોઈએ.
