‘સુપર સે ઉપર’ વ્યાખ્યાન સંગ્રહની લોકાર્પણવિધિ : તલોદ્ઘાટન, જીવદયામાં લાખોનું દાન
પૂ. શ્રી ધીરગુરુદેવ
ગોંડલ સંપ્રદાયના પૂ. શ્રી ધીરગુરુદેવના ચાતુર્માસ પ્રવેશ પૂર્વે વસંતબહેન પ્રવીણચંદ્ર પારેખ પ્રેરિત નવકારશી બાદ કળશ–બેડાધારી બહેનો સહિત શોભાયાત્રા ડુંગર દરબાર, અગ્રસેન હૉલમાં સમારોહમાં ફેરવાયા બાદ જૈન ધર્મ સંકુલના મુખ્ય દાતા વિનુભાઈ કપાસીના પ્રમુખસ્થાને મેહુલ ધોળકિયાએ સૌને આવકાર્યા હતા.
આ પ્રસંગે પૂ. જયેશમુનિજી, પૂ. જૈનમમુનિજી તથા પૂ. ગુણીજી મ. સ., પૂ. સુશીલાજી મ. સ. આદિ ઠાણા તથા ગોંડલ, કલકત્તા, ઇન્દોર, જળગાંવ, ચેન્નઈ, અકોલા, આમ્બિ વૅલી સિટી, પુણે, વિલે પાર્લે, ઘાટકોપર, કાંદિવલી-મહાવીર નગર, દહિસર, માટુંગા, તાડદેવ, જામનગર, અંધેરી, રાજકોટ, વાપી, સુરત, વડોદરા, સેલવાસ, લીમડી, ધંધૂકા, દિલ્હી, જૂનાગઢ, કાટકોલા, બાવળા, યોગીનગર, વિરાર, સાયન, લાલપુર, પાળિયાદ વગેરે તેમ જ અમદાવાદના વિવિધ સંઘોના ભાવિકોથી હૉલ ખીચોખીચ ભરાઈ ગયો હતો.
ADVERTISEMENT
ચાતુર્માસને સફળ બનાવવા સ્માઇલિંગ લાઇફ – હસતું જીવન જીવી જાણવું. શાઇનિંગ લાઇફ - ઝળહળતું જીવન જીવવા માટે માત્ર પોતાનો નહીં બીજાનો પણ વિચાર કરતા રહેવું. ટીકા કરીને બીજાને પાડવાને બદલે ટેકો દઈને ઉપર ચડાવે એવું જીવન જીવવું. સિન્ગિંગ લાઇફ - ગાતું જીવન, ફરિયાદ વગરનું જીવન, જે મળ્યું, જેવું મળ્યું એ પ્રભુનો પ્રસાદ છે એમ સમજીને ગુનગુનાતા રહે એવું જીવન જીવવું.
જૈન ધર્મ સંકુલ, ધર્મનાથ ઉપાશ્રય, આયંબિલ ભવનના દ્વારોદ્ઘાટનના ચડાવાનો ધોલેરા પરિવાર, પ્રવીણ લોખંડવાલા, દક્ષા મુકેશ કામદાર અને જીવદયા કળશનો ઋષભ નવનીત પટેલ, ‘સુપર સે ઉપર’ વ્યાખ્યાન સંગ્રહનો લાગ રીટા અભય શાહે લીધો હતો. ચાતુર્માસ ભક્તિનો લાભ મધુસૂદન શેઠ, પ્રદીપ ખેતાણી, વીણા ખેતાણી, હસુમતી ધોળકિયા, પ્રદીપ કામદારે લીધો હતો.
આમ્બિ વૅલી સિટીના અમીશા નીરજ વોરા, ઉર્વીશ વોરા વગેરેની વિનંતીનો સ્વીકાર કરતાં આગામી ચાતુર્માસ જાહેર કરતાં અનેરો ઉમંગ છવાઈ ગયો હતો. ચેન્નઈ અને ઇન્દોર સંઘે ચાતુર્માસની વિનંતી કરી હતી. ગોંડલ સંપ્રદાયના હરેશ વોરા, સુરેશ કામદાર, પ્રવીણ કોઠારી તેમ જ સંઘ કમિટી વગેરેએ દાતાઓનું અભિવાદન કર્યું હતું. મંગલપાઠ બાદ ૨૫૦૦ જેટલા ભાવિકો પ્રસાદ ગ્રહણ કરીને ભાવવિભોર હૈયે વિખેરાયા હતા.

