કંગનાના કેસમાં બીએમસીએ વકીલને અધધધ ૮૨.૫૦ લાખ ફી ચૂકવી
કંગના રનૌત
અભિનેત્રી કંગના રનૌતના બંગલો તોડી પાડવાના કેસમાં બીએમસીએ વકીલ અસ્પી ચિનોયને ચુકવેલી ૮૨.૫૦ લાખ રૂપિયાની ફીને પડકારતી અરજીને ફગાવતાં બોમ્બે હાઈ કોર્ટે કહ્યું હતું કે આવી બાબતમાં કોર્ટ દખલગીરી કરી શકે નહીં.
આરટીઆઈ ઍક્ટિવિસ્ટ હોવાનો દાવો કરતાં શરદ યાદવ દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દેતાં જસ્ટિસ એસ એસ શિંદે અને મનિષ પિતળેની વિભાગીય બેન્ચે કહ્યું હતું કે કોણે કેટલી ફી લેવી અને કોણે કેટલી ફી ચુકવવી એ એવો મુદ્દો છે, જેમાં કોર્ટ દખલગીરી કરી શકે નહીં.
ADVERTISEMENT
શરદ યાદવે તેની અરજીમાં દાવો કર્યો હતો કે આવા નજીવા કેસ માટે બીએમસી આટલા મોટા વકીલને રોકીને સરકારી ખજાનામાંથી મોટી રકમની ફી ચુકવે તે યોગ્ય નથી આ બાબતે સીબીઆઈ તપાસ હાથ ધરાવી જોઇએ.
કોર્ટે કહ્યું હતુ કે તમને ક્ષુલ્લક લાગતો કેસ બીએમસી માટે મહત્વનો હોઈ શકે છે, તેમ છતાં જો જનતાના પૈસાનો ગેરવહીવટ કરાતો હોય એમ લાગે તો તે માટે અરજીકર્તા મેજિસ્ટ્રેટ કોર્ટમાં ખાનગી ફરિયાદ કરી શકે છે.