ગણેશોત્સવમાં સ્પીકરની પરવાનગીના દિવસો વધારી આપવા માટે CMનું આશ્વાસન
દેવેન્દ્ર ફડણવીસ
વિસર્જન સમયમાં સ્પીકર અને પારંપારિક વાદ્યોના વપરાશ બાબતે સકારાત્મક ભૂમિકા લેવાનું આશ્વાસન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે ગણેશમંડળોને આપ્યું હતું. ગણેશોત્સવ સમયમાં વધુમાં વધુ દિવસો રાતના બાર વાગ્યા સુધી સ્પીકરના વપરાશની પરવાનગી આપવાનો પ્રયત્ન કરીશ. વિસર્જન સમયમાં રાતે બાર પછી ધ્વનિની મર્યાદા સંભાળીને પારંપારિક વાદ્યો વગાડવા માટેની તૈયારી સરકારે દાખવી છે.
સાર્વજનિક ગણેશોત્સવ સમયમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંદર્ભમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતા હેઠળ બુધવારે સહ્યાદ્રિ ખાતે બેઠક થઈ હતી. વિસર્જનના દિવસે રાતના ૧૨ વાગ્યા સુધી સ્પીકર વાપરવાની પરવાનગી હોય છે. આ વર્ષે ૨, ૬, ૭ અને ૧૨ સપ્ટેમ્બર એમ ચાર દિવસની પરવાનગી આપવામાં આવી છે. આ ચાર દિવસ ઉપરાંત અમુક દિવસો પરવાનગી આપવાની માગણી ગણેશમંડળોએ કરી હતી. તે માટે મુખ્ય પ્રધાને પરવાનગી આપવાની તૈયારી દાખવી છે. જોકે આ માટે ધ્વનિની મર્યાદાનું પાલન કરવું પડશે, એવું મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. ફડણવીસે કહ્યું હતું કે ‘ગણેશોત્સવનું સ્વરૂપ ઉત્સાહી રહેવું જોઈએ. ઉત્સવ શાંતિથી અને ઉત્સાહમાં ઉમંગ રહે એ માટે તમામ લોકોએ પ્રયાસ કરવા જોઈએ. પારંપારિક વાદ્યોને પરવાનગી આપવા સંદર્ભે પોલીસે યોગ્ય ભૂમિકા ભજવવી જોઈએ.’