કોરોના વાઈરસનો ભય: ક્યારે ઇન્ડિયા પહોંચીને અમારી ફૅમિલીને મળીશું?
ચિરાગ મહેતા અને મુકેશ આશર
માર્ચથી શરૂ થયેલા લૉકડાઉનની મુદત વધુને વધુ લંબાતી જાય છે ત્યારે વૈશ્વિક સ્તરે વિમાન પ્રવાસ પર નિયંત્રણને કારણે મહારાષ્ટ્રના અંદાજે પાંચ હજારથી પણ વધુ લોકો અઢી મહિનાથી મસ્કતમાં ફસાઈ ગયા છે. એમાંથી કેટલાક ગુજરાતીઓ પણ છે જેમની પાસે રહેવા અને જમવા માટેના પણ રૂપિયા ખૂટી જવાથી તેમની હાલત કફોડી બની ગઈ છે. મસ્કતમાં અટવાઈ ગયેલા લોકોએ મહારાષ્ટ્ર સરકારને અપીલ કરી છે કે વહેલી તકે ફ્લાઇટની અરેન્જમેન્ટ કરીને અમને મુંબઈ પાછા લાવો.
બિઝનેસ અર્થે મસ્તક ગયેલા મલાડના મુકેશ આશર અઢી મહિનાથી મસ્કતમાં ફસાઈ ગયા છે. મારું કામ પૂરું કરીને મસ્કતમાંથી નીકળવાનો હતો અને લૉકડાઉનની અનાઉન્સમેન્ટ થઈ ગઈ એમ જણાવતાં મુકેશ આશરે મિડ-ડેને કહ્યું હતું કે ‘મારી વાઇફ અને બે દીકરીઓ ઘરે છે, હું અહીં ફસાઈ ગયો છ઼ું. જો મારા પરિવારને મારી ગેરહાજરીમાં કોઈ પ્રૉબ્લેમ થશે તો એનું જવાબદાર કોણ? મસ્કતથી મુંબઈ માટેની હજી સુધી એક પણ ફ્લાઇટ અનાઉન્સ નથી થઈ. ક્યારે અમે પાછા મુંબઈ જઈશું? મસ્કતમાં દિવસો કાઢવા હવે તો અઘરા થઈ ગયા છે. શરૂઆતમાં હોટેલમાં રહેતો હતો. હમણાં થોડા દિવસથી ફ્રેન્ડના ઘરે રહું છું. હવે તો ખાવા માટે ખર્ચ કરવા રૂપિયા પણ ખૂટી ગયા છે. પચાસ હજાર રૂપિયા ઉધાર લેવા પડ્યા છે. ઇન્ડિયાની ફ્લાઇટ ચાલુ કરી એમાં મોટા ભાગની કેરળની ફ્લાઇટ છે. એક ફ્લાઇટ અમદાવાદની અને એક ફ્લાઇટ દિલ્હીની, પરંતુ હજી સુધી એક પણ ફ્લાઇટ મુંબઈ માટેની આવી નથી. મસ્કતની ઇન્ડિયન એમ્બેસીના સતત ટચમાં છું. તેઓ તરફથી એ જ જવાબ મળી રહ્યો છે કે અમારી પાસે તમારી બધી માહિતી છે. કંઈ પણ હશે તો અમે તમને તરત જાણ કરીશું. મારી મહારાષ્ટ્ર સરકારને એક જ અપીલ છે કે વહેલી તકે મુંબઈ માટેની ફ્લાઇટ મોકલો જેથી અમે અમારા દેશમાં પાછા આવી જઈએ. પછી તમે જેમ કહેશો એમ કરીશું. બધા જ રૂલ્સ ફૉલો કરીશું. બસ, અમને ઇન્ડિયા પાછા આવવું છે.’
વીસ વર્ષથી દર વર્ષે પોતાના કામ માટે ત્રણ મહિના મસ્કત જતા કાંદિવલીમાં રહેતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ચિરાગ મહેતા પણ અઢી મહિનાથી મસ્કતમાં ફસાઈ ગયેલા છે. મારી દવાઓ પણ પૂરી થવા આવી છે અને અહીં દવાઓ પણ બહુ મોંઘી મળે છે અને મેડિકલ ઇન્શ્યૉરન્સ પણ નથી એમ જણાવતાં ચિરાગ મહેતાએ મિડ-ડેને કહ્યું હતું કે ‘ક્યારે અમે ઘરે પહોંચીશું? સાઉથની, રાજસ્થાન, ગુજરાતની ફ્લાઇટ જાય છે; પરંતુ મ઼ુંબઈ માટેની ફ્લાઇટ હજી સુધી નથી. મહારાષ્ટ્ર સરકાર મસ્કતમાં ફસાયેલા લોકો માટે મ઼ુંબઈ આવવા વહેલી તકે ફ્લાઇટ્સની અરેન્જમેન્ટ કરે બસ, એ જ એક અપીલ છે.’
ADVERTISEMENT
એક ગર્ભવતી મહિલા મસ્કતમાં ફસાઈ ગઈ છે. મુંબઈ આવવા માટે તેમણે ફૉર્મ ભર્યું છે, પરંતુ હજી સુધી મુંબઈની કોઈ ફ્લાઇટની અનાઉન્સમેન્ટ થઈ નથી એમ જણાવતાં મહિલાએ મિડ-ડેને કહ્યું હતું કે ‘મારા પરિવારના વડીલો અહીં નથી. આથી આ સમયે તેમને હું બહુ મિસ કરું છું. જો વધારે મોડું થશે તો પ્રેગ્નન્સીને કારણે હું ટ્રાવેલ પણ નહીં કરી શકું. આથી વહેલી તકે સરકાર મુંબઈ માટેની ફ્લાઇટની વ્યવસ્થા કરે તો સારું થશે.’
સંસદસભ્ય ગોપાલ શેટ્ટીએ મિડ-ડેને કહ્યું હતું કે ‘જે લોકો મસ્કતમાં ફસાઈ ગયા છે એ બાબતે મને જાણ છે. મારી પાસે આવેલી અરજીઓને પણ મેં આગળ ફૉર્વર્ડ કરી છે. ગવર્નમેન્ટ પ્રોટોકૉલ મેઇન્ટેન કરીને તેમને પાછા લાવવા માટે કામ કરી રહી છે.’
મહારાષ્ટ્ર સરકાર મસ્કતમાં ફસાયેલા લોકો માટે મ઼ુંબઈ આવવા વહેલી તકે ફ્લાઇટ્સની અરેન્જમેન્ટ કરે બસ, એ જ એક અપીલ છે.
- ચિરાગ મહેતા, કાંદિવલી
મારી વાઇફ અને બે દીકરીઓ ઘરે છે, હું અહીં ફસાઈ ગયો છ઼ું. જો મારા પરિવારને મારી ગેરહાજરીમાં કોઈ પ્રૉબ્લેમ થશે તો એનું જવાબદાર કોણ?
- મુકેશ આશર, મલાડ