અદર પૂનાવાલાનો સવાલ: કોરોના રસી માટે સરકાર પાસે 80,000 કરોડ છે?
અદર પૂનાવાલા
દુનિયાઆખી અત્યારે કોરોના વાઇરસની રસીની કાગડોળે રાહ જોતી બેઠી છે. દુનિયાભરના વિજ્ઞાનીઓ અને સંશોધકો કોરોનાની રસી માટે પ્રયત્નો કરી રહ્યા છે, જેમાં ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટનું નામ આગળ પડતું છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ કોરોના વૅક્સિનનું ઉત્પાદન કરી રહી છે, જેના માટે તેણે ઑક્સફર્ડ યુનિવર્સિટી સાથે કરાર કર્યો છે ત્યારે કોરોના વાઇરસ સામે લડવામાં ભારત સામેના પડકાર વિશે વાત કરતાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સીઈઓ અદર પૂનાવાલાએ સરકારને પૂછ્યું છે કે શું કોરોના વૅક્સિનની ખરીદી અને વિતરણ માટે તમારી પાસે ૮૦,૦૦૦ કરોડ રૂપિયા છે?
આ સવાલ તેમણે ટ્વિટરના માધ્યમથી પૂછ્યો છે. અદર પૂનાવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે ‘શું ભારત સરકાર પાસે આવનારા એક વર્ષમાં ૮૦,૦૦૦ કરોડ રૂપિયા હશે? કારણ કે ભારતના તમામ લોકો માટે કોરોનાની રસી ખરીદવામાં અને વિતરણ કરવામાં આટલો ખર્ચ થશે. વડા પ્રધાન કાર્યાલયને ટૅગ કરતાં તેમણે આ સવાલ કર્યો છે. સાથે એ પણ કહ્યું છે કે આ એક પડકાર છે, આપણે એનો સામનો કરવાનો છે.