જૈન ધર્મના ત્રેવીસમા તીર્થંકરના નિર્વાણનાં ૨૮૦૦ વર્ષ નિમિત્તે ભગવાનના જન્મસ્થળ વારાણસીથી પારસનાથ (સમેતશિખરજી) સુધી આઠ રાજ્યના ૮૦૦૦ કિલોમીટરમાં રથ ફેરવવામાં આવશે ઃ ૯૦ દિવસની યાત્રા આજે મુંબઈથી શરૂ થશે
આજથી આ રથમાં પ્રભુ પાર્શ્વનાથની મૂર્તિની મહાયાત્રા શરૂ થશે.
મુંબઈ ઃ જૈન ધર્મના ત્રેવીસમા તીર્થંકર પ્રભુ પાર્શ્વનાથનો જન્મ વારાણસીમાં થયો હતો અને તેમનું નિર્વાણ સમેતશિખરજીમાં થયું હતું. તેમના નિર્વાણને આ વર્ષે ૨૮૦૦ વર્ષ થઈ રહ્યાં છે. આ નિમિત્તે સમુદ્રમાંથી પ્રાપ્ત થયેલી પાર્શ્વનાથ ભગવાનની કોરલની મૂર્તિની મહાયાત્રા કરાવવાનું આયોજન શ્રી વિશ્વ જૈન પરિષદ અને શ્રી પાર્શ્વ નિર્વાણ વર્ષ સમિતિ-મુંબઈ દ્વારા કરવામાં આવ્યું છે.
આ મહાયાત્રાની શરૂઆત આજે સવારે ૮.૩૦ વાગ્યે વી. પી. રોડ પરના આદિત્ય ટાવરથી રાજ્યપાલ રમેશ બૈસ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢા સહિતના મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવશે. શરૂઆતના દિવસોમાં આ રથ મુંબઈના જૈન સંઘોમાં ફરશે. ત્યાર બાદ ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ સહિતનાં રાજ્યોમાં થઈને કોંકણમાં નિર્માણાધીન શ્રી પાર્શ્વપુરમ તીર્થ પહોંચશે. ૯૦ દિવસની યાત્રા દરમ્યાન ભારતભરના ૨૦૦૦ જૈન સંઘમાં પંદર હજાર જેટલાં સાધુ-સાધ્વી ભગવંતો અને ૨૦ લાખ જેટલા જૈનો રથમાં પધરાવવામાં આવેલા પાર્શ્વ પ્રભુની મૂર્તિનો અભિષેક કરી શકે અને તેમના જીવનચરિત્રની માહિતી મેળવી શકે એ માટે રથમાં ટીવીની સાથે સાહિત્ય રહેશે.
પહેલી મહાયાત્રા
પાર્શ્વ પ્રભુના નિર્વાણનાં ૨૮૦૦ વર્ષ નિમિત્તે સમુદ્રમાંથી મળી આવેલી પ્રભુની કોરલની મૂર્તિની મહાયાત્રા કાઢવાની પ્રેરણા આપનારા આચાર્ય શ્રી સાગરચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૈન ધર્મના ઇતિહાસમાં પહેલી વખત કોઈ તીર્થંકરની આટલી લાંબી યાત્રા કાઢવામાં આવી રહી છે. પાર્શ્વ પ્રભુનો જન્મ વારાણસીમાં થયો હતો અને તેમનું નિર્વાણ સમેતશિખરજીમાં થયું હતું. પાર્શ્વનાથ ભગવાનના જીવનનો મુખ્ય સંદેશ છે કે ગુસ્સામાં કોઈ નિર્ણય ન લેવો, પરિવારને સ્નેહ કરવો, વ્યસનથી મુક્ત થવું, અસભ્ય ભાષા ન બોલવી અને માતા-પિતાની સંભાળ રાખવી. આજના સમયમાં પણ પ્રભુનો આ સંદેશ મહત્ત્વનો છે એટલે વધુ ને વધુ લોકો સુધી આ સંદેશ પહોંચે એ માટે મહાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.’

કોરલની તરતી મૂર્તિ
રથની અંદર સમુદ્રમાંથી મૂર્તિ નીકળતી હોય એવી સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. આ વિશે આચાર્ય શ્રી સાગરચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબે કહ્યું હતું કે ‘પ્રભુ પાર્શ્વનાથની કોરલની તરતી મૂર્તિનાં દર્શન કરીને એના પર અભિષેક થઈ શકે એવી રીતે રથ તૈયાર કરવામાં આવ્યો છે. રથ કોઈ સંઘમાં રોકાશે ત્યારે રથના પાછળના ભાગમાં બે હાથની વચ્ચેથી સમુદ્રની અંદરથી કોરલની મૂર્તિ બહાર આવશે. હાઇડ્રોલિક સિસ્ટમની મદદથી મૂર્તિ બે હાથની પાછળના ભાગમાંથી સમુદ્રમાંથી બહાર આવતી હોય એવું દૃશ્ય દેખાશે. સાધુ-ભગવંતો કે જૈન શ્રાવક-શ્રાવિકાઓ આ મૂર્તિનાં દર્શન કરવાની સાથે અભિષેક કરી શકશે.’
૩૫ લાખ રૂપિયા ખર્ચ
મુંબઈથી શરૂ થઈને કોંકણના પાર્શ્વપુરમ સુધીની ૯૦ દિવસની મહાયાત્રામાં એક રથ ઉપરાંત એક કાર હશે, જેમાં છ વ્યક્તિ આઠ રાજ્યના ૮૦૦૦ કિલોમીટરનો પ્રવાસ કરશે. આ મહાયાત્રા પાછળ ૩૫ લાખ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.
મહાયાત્રા અહીંથી પસાર થશે
મુંબઈ, કોંકણ, પુણે, સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, પાલિતાણા, ગિરનાર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, શંખેશ્વર, પાટણ, ઉંઝા, હિંમતનગર, બાંસવાડા, ડુંગરપુર, ઉદયપુર, અજમેર, જયપુર, અલવર, દિલ્હી, મથુરા, કાનપુર, લખનઉ, પટના, રાજગૃહી, પાવાપુરી, સમેતશિખર, ગયા, વારાણસી, પ્રયાગરાજ, સાગર, ભોપાલ, દેવાસ, ઉજ્જૈન, મહીધરપુર, નાગેશ્વર, રતલામ, ઇન્દોર, ભોપાવર, માંડવગઢ, રાજગઢ, ગોધરા, દાહોદ, હાલોલ, પાવાગઢ, ડભોઈ થઈને કોંકણમાં નિર્માણાધીન પાર્શ્વપુરમ તીર્થમાં મહાયાત્રા પૂરી થશે.


