નાગરિકતા કાયદાની તરફેણમાં બીજેપીની ડોર-ટુ-ડોર ઝુંબેશ હાસ્યાસ્પદ:ગેહલોત
પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલા દેશના બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકત્વ ઑફર કરતા સીએએના ફાયદાઓ સમજાવવા માટે બીજેપી દ્વારા શરૂ કરવામાં આવેલી ડોર-ટુ-ડોર ઝુંબેશની મજાક ઉડાવતાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ગઈ કાલે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે જો આ કાયદો આટલો જ સારો છે, તો તેના માટે આમ ઘરે-ઘરે ફરીને પ્રચાર કરવો જરૂરી નથી.
એક સમય હતો જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પરથી ‘મનકી બાત’ કહેતાં અને સમગ્ર દેશવાસીઓ તેમને સાંભળતા હતા અને હવે સીએએ માટે પક્ષના નેતાઓ અને પ્રધાનોને ઘરે ઘરે ફરીને લોકોને સમજાવવાની ફરજ પડી રહી છે, આ સ્થિતિ જ હાસ્યાસ્પદ છે.
બીજેપીશાસિત આસામમાં ૧૯ લાખ લોકો પાસે નાગરિકત્વ પુરવાર કરતા દસ્તાવેજો નથી, જેમાંના ૧૬ લાખ હિન્દુઓ છે. સરકાર તેમને ભારતનું નાગરિકત્વ કેમ નથી આપી રહી? એમ જણાવી ગેહલોતે પ્રશ્ન કર્યો હતો કે રાજસ્થાનમાં પણ ૧૦,૦૦૦ લોકો નાગરિકત્વના હકદાર હતા, ગૃહપ્રધાન અમિત શાહ એક રૅલીને સંબોધન કરવા રાજસ્થાન પહોંચ્યા હતા, તેમણે પણ આ બધાને નાગરિકત્વ આપવા વિશે કેમ હરફ પણ ઉચ્ચાર્યો નહોતો. એનો અર્થ એ જ થાય છે કે પોતાના જ કાયદા વિશે તેઓ પોતે જ ગંભીર નથી.