ઘાટકોપરમાં બનેલી આ ઘટનાથી મુંબઈના જૈન સમાજમાં ખળભળાટ
પરિપત્ર
ઘાટકોપર-ઈસ્ટના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘને ૧૨ વર્ષ પહેલાં ડોનેટ કરેલી ૨૩૦૦ સ્ક્વેરફીટની જગ્યા ઘાટકોપરના જ જૈન બિલ્ડર મનીષ શાહે પાછી લઈ લીધી છે, જેને પગલે ઘાટકોપરના જૈન સંઘમાં મોટો વિવાદ સર્જાયો છે. મનીષ શાહે જૈન ઉપાશ્રય માટે ડોનેટ કરેલી જગ્યા ઘાટકોપર-ઈસ્ટમાં ટિળક રોડ પાસે આવેલી એક સોસાયટીમાં છે. એક ડોનરે તેણે આપેલી જગ્યા સંઘ પાસેથી પાછી લઈ લીધી હોય એવો આ કદાચ મુંબઈના જૈન સંઘોમાં પ્રથમ બનાવ છે. મનીષ શાહના નિર્ણયનો વિરોધ કરીને આ જૈન સંઘ તરફથી સમસ્ત મુંબઈના જૈન સંઘો તથા આરાધકોને આ બાબતની જાણકારી આપતો ટ્રસ્ટીઓની સહી સાથેનો ૧૮ એપ્રિલે લખાયેલો બે પાનાંનો પરિપત્ર ગઈ કાલે સમસ્ત મુંબઈના જૈન સંઘો તથા આરાધકોમાં વાઇરલ થયો હતો. એનાથી મુંબઈના જૈન સંઘોમાં ખળભળાટ મચી ગયો છે અને જૈનોમાં આ ગંભીર ચર્ચાનો વિષય બની ગયો છે.