જેમાં સ્કૂલ-કૉલેજના સ્ટુડન્ટ્સ સહિત પાંચ હજાર લોકો ઉત્સાહ અને ઉમંગ સાથે જોડાયા હતા
દિક્ષણ ગુજરાતના બીલીમોરામાં ગઈ કાલે ૭૫ મીટર લાંબા તિરંગા સાથે યાત્રા યોજાઈ હતી
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં યોજાઈ રહેલા કાર્યક્રમોમાં ગઈ કાલે દક્ષિણ ગુજરાતના બીલીમોરામાં ૭૫ મીટર લાંબા તિરંગા સાથે યાત્રા યોજાઈ હતી, જેમાં સ્કૂલ-કૉલેજના સ્ટુડન્ટ્સ સહિત પાંચ હજાર લોકો ઉત્સાહ અને ઉમંગ સાથે જોડાયા હતા. નવસારી જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગઈ કાલે બીલીમોરામાં વી.એસ.પટેલ કૉલેજથી વિશાળ તિરંગા-યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં ગુજરાતના આદિજાતિ વિકાસપ્રધાન નરેશ પટેલ ઉપરાંત નવસારી જિલ્લાની શાળાઓ–કૉલેજોના એન.સી.સી. તેમ જ એન.એસ.એસ.ના કૅડેટ્સ તેમ જ વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાના આગેવાનો અને કાર્યકરો સહિત પાંચ હજાર જેટલા નાગરિકો જોડાયા હતા. બીલીમોરામાં તિરંગા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં જોડાયેલા વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને જોશ આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. યાત્રાના પગલે સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ ઊભો થયો હતો.