ગુજરાતમાં અમિત શાહે આપી બાંયધરી
ગુજરાતમાં પ્રચારસભાને અમિત શાહે સંબોધી હતી.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કર્યો હતો. બંધારણ બદલવાની બાબતે પ્રિયંકા ગાંધીને જવાબ આપતાં ભરૂચની સભામાં અમિત શાહે આક્ષેપ કરતાં કહ્યું કે ‘બે જુઠ્ઠાં ભરૂચમાં ભેગાં થયાં છે. તેમણે એક અફવા ચલાવી છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ની ૪૦૦ સીટ આવશે તો બંધારણ બદલી અનામત સમાપ્ત કરશે, તો હું મોદીની એક ગૅરન્ટી કહેવા આવ્યો છું કે નરેન્દ્ર મોદી આદિવાસી, દલિત અને અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ની અનામતને હાથ લગાડશે નહીં અને લગાડવા દેશે પણ નહીં. આ જુઠ્ઠા સરદારો છે.’
ગુજરાતમાં ગઈ કાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સૌરાષ્ટ્રના જામકંડોરણા અને એ પછી ભરૂચ પાસે ખડોલી ગામે અને ત્યાર બાદ ગોધરામાં જનસભાને સંબોધી હતી એ પછી વડોદરામાં સાંજે રોડ-શો કર્યો હતો અને દાવો કર્યો હતો કે ‘બન્ને ચરણમાં રાહુલબાબાનાં સૂપડાં સાફ થઈ ગયાં. BJP પાસે ૧૦ વર્ષથી બંધારણ બદલવાની ક્ષમતા છે. પૂર્ણ બહુમતીની સરકાર નરેન્દ્રભાઈ ૧૦ વર્ષથી ચલાવે છે. અમે આરક્ષણ બંધારણમાંથી સમાપ્ત નથી કર્યું. નરેન્દ્ર મોદી આદિવાસીઓના મિત્ર છે. મોદીએ દેશને આગળ વધારવાનું સુરક્ષિત કરવાનું કામ કર્યું છે.’
ADVERTISEMENT
૧૦ વર્ષ સુધી યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (UPA) સરકાર હતી. સોનિયા ગાંધી, મનમોહન સિંહની સરકારે ગુજરાતને અન્યાય કરવામાં કશું બાકી નહોતું રાખ્યું એમ જણાવતાં અમિત શાહે કહ્યું હતું કે ‘BJPએ, નરેન્દ્રભાઈએ ૧૦ વર્ષમાં નર્મદાથી માંડીને બધા પ્રશ્નો હલ કર્યા. ગુજરાતની જનતાને બે હાથ જોડીને અપીલ કરવા આવ્યો છું કે બાકી બચેલી પચ્ચીસેપચ્ચીસ બેઠક પર કમળનું નિશાન ખીલવો અને નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડા પ્રધાન બનાવો.’