જગન્નાથજી મંદિરને ૫૦૦૦ કિલો ફૂલોથી શણગારવામાં આવશેઃ નરેન્દ્ર મોદીએ મોકલ્યો મગ, જાંબુ, કેરી અને સૂકા મેવાનો પ્રસાદ
મંદિર પરિસરમાં હાથીઓને લવાયા હતા. તસવીરઃ જનક પટેલ.
જગન્નાથજી મંદિરને ૫૦૦૦ કિલો ફૂલોથી શણગારવામાં આવશેઃ નરેન્દ્ર મોદીએ મોકલ્યો મગ, જાંબુ, કેરી અને સૂકા મેવાનો પ્રસાદ
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી સાથે નિજ મંદિરેથી નગરજનોને સામે ચાલીને દર્શન આપવા માટે નગરયાત્રાએ નીકળશે. હર્ષોલ્લાસ અને ભક્તિભાવભર્યા માહોલમાં અમદાવાદમાં ૧૪૯મી પૌરાણિક અને ઐતિહાસિક રથયાત્રા નીકળશે ત્યારે આ પ્રસંગે જગન્નાથજી મંદિરને ૫૦૦૦ કિલો ફૂલોથી શણગારવામાં આવશે.
ADVERTISEMENT
અમદાવાદમાં આવેલા જગન્નાથજી મંદિરમાં આજે સવારે ૪ વાગ્યે મંગળા આરતી થશે. ત્યાર બાદ વર્ષમાં એક વાર ધરાવાતો ખીચડીનો ભોગ ધરાવવામાં આવશે. અે પછી વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રભુની આંખેથી પાટા ખોલવામાં આવશે અને ત્રણ રથોમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને બિરાજમાન કરાવવામાં આવશે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરીને રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો શુભારંભ કરાવશે.
અંદાજે ૧૬.૨ કિલોમીટરના રૂટ પર નીકળનારી રથયાત્રામાં ૪૫,૦૦૦ કિલો મગ, ૫૦૦ કિલો જાંબુ, ૫૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી અને દાડમનો પ્રસાદ તેમ જ બે લાખ ઉપરણા (ખેસ)નું વિતરણ કરાશે.
રથયાત્રામાં ત્રણ રથ ઉપરાંત ૧૮ શણગારેલા હાથી, સાંસ્કૃતિક ઝાંકી કરાવતી ૧૦૧ ટ્રકો, અંગકસરતના પ્રયોગ કરતા ૩૦ અખાડા, ૧૮ ભજનમંડળીઓ, ૩ બૅન્ડવાજાં પાર્ટી તેમ જ દેશભરમાંથી આવેલા ૨૫૦૦થી વધુ સાધુ-સંતો જોડાશે.
