ગુજરાત સરકારે કૅબિનેટની બેઠકમાં કર્યો ઠરાવ : હવે આણંદ મહાનગરપાલિકા ઓળખાશે કરમસદ-આણંદ મહાનગરપાલિકા તરીકે
સરદાર વલ્લભભાઈ પટેલ
ગુજરાત સરકારે કૅબિનેટની બેઠકમાં કર્યો ઠરાવ : હવે આણંદ મહાનગરપાલિકા ઓળખાશે કરમસદ-આણંદ મહાનગરપાલિકા તરીકે : આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવી એમાં કરમસદનો સમાવેશ થયો હતો, પરંતુ કરમસદનું નામ જતું રહેતાં સ્થાનિક લોકોએ સરદાર પટેલના ગામની ઓળખ જાળવી રાખવા કરી હતી રજૂઆત
મધ્ય ગુજરાતમાં આવેલા અને દેશની એકતા અને અખંડિતતાના પ્રહરી સરદાર વલ્લભભાઈ પટેલના ગામ કરમસદનું નામ હવે કરમસદ જ રહેશે, બદલાશે નહીં. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી પ્રધાનમંડળની કૅબિનેટની બેઠકમાં નિર્ણય લઈને ઠરાવ કરવામાં આવ્યો છે કે હવે આણંદ મહાનગરપાલિકાનું નામ, કરમસદ–આણંદ મહાનગરપાલિકા રહેશે.
ADVERTISEMENT
ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન હૃષીકેશ પટેલે કહ્યું હતું કે ‘ગુજરાતની ૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો જેમાં આણંદ નગરપાલિકાનો પણ સમાવેશ હતો. આણંદ મહાનગરપાલિકાનું નામ બદલવા તથા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના પૈતૃક ગામ કરમસદની આગવી ઓળખ જાળવી રાખવા સ્થાનિક લોકો તેમ જ વિવિધ સંસ્થાઓ સહિતના લોકો તરફથી રજૂઆત કરવામાં આવી હતી. એને ધ્યાનમાં લઈને આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરમસદના ઐતિહાસિક વારસાને ધ્યાનમાં લઈને આણંદ મહાનગરપાલિકાના સ્થાને ‘કરમસદ–આણંદ મહાનગરપાલિકા’ નામકરણ કરવા કૅબિનેટની બેઠકમાં ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે.’
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે આ વર્ષની ૧ જાન્યુઆરીએ આણંદ નગરપાલિકા, કરમસદ નગરપાલિકા અને વલ્લભવિદ્યાનગર નગરપાલિકા તથા નજીકનાં અન્ય ગામોનો સમાવેશ કરીને આણંદ મહાનગરપાલિકાની રચના કરી હતી જેની સામે કરમસદમાં વિરોધ ઊઠ્યો હતો. સ્થાનિક લોકોએ રૅલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપીને સરદાર વલ્લભભાઈ પટેલના કરમસદની ઓળખ જાળવી રાખવાની માગણી કરી હતી.

