સાડાછ કરોડ ગુજરાતીઓનું અપમાન, મહાત્મા ગાંધી અને સરદારસાહેબની પાવન ધરતીની ગરિમાને ઠેસ
ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી.
કૉન્ગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેરલમમાં ચૂંટણી-રૅલી દરમ્યાન ગુજરાતના લોકોને અભણ કહેતાં વિવાદ થઈ ગયો હતો. તેમણે કહ્યું હતું ‘મોદીજી, તમે અભણ ગુજરાતીઓને મૂર્ખ બનાવી શકો છો, કેરલમના લોકોને નહીં. કેરલમના લોકો ખૂબ જ સ્માર્ટ અને શિક્ષિત છે એટલે મોદી કે પિનરાઈ વિજયન કેરલમના લોકોને મૂર્ખ નથી બનાવી શકતા.’
મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદન સામે ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ વિરોધ નોંધાવ્યો હતો. ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ‘મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતના લોકો વિશે જે નિવેદન કર્યું છે એ અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે આ નિવેદન કરીને સાડાછ કરોડ ગુજરાતીઓનું તો અપમાન કર્યું જ છે, સાથે-સાથે મહાત્મા ગાંધી અને સરદારસાહેબની પાવન ધરતીની ગરિમાને પણ ઠેસ પહોંચાડી છે.’
ADVERTISEMENT
ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ‘તેમનું આવું શરમજનક નિવેદન સ્પષ્ટ કરે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં BJPની વિકાસની રાજનીતિને મળી રહેલા વ્યાપક જનસમર્થનથી કૉન્ગ્રેસ પોતાને અસુરિક્ષત મહેસૂસ કરી રહી છે. ગુજરાત અને ગુજરાતીઓ વિરુદ્ધની કૉન્ગ્રેસની આ માનસિકતા આજકાલની નથી, વર્ષોથી છે. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદારસાહેબને ભારતરત્ન ન આપીને તેમની પણ કૉન્ગ્રેસે ઉપેક્ષા કરી હતી. હજી પણ કૉન્ગ્રેસની ગુજરાતવિરોધી માનસિકતા બદલાઈ નથી.’
નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘રાજનીતિમાં વૈચારિક મતભેદ હોઈ શકે છે, પરંતુ કોઈ પણ રાજ્યના બધા નાગરિકોનું અપમાન કરતાં બૌદ્ધિક ક્ષમતા પર સવાલ ઉઠાવવા એ કેવળ અશોભનીય નથી, પરંતુ આ કૉન્ગ્રેસની સંપૂર્ણ બીમાર માનસિકતા જાહેર કરે છે. આ નિવેદન એ દરેક ગુજરાતીનું અપમાન છે જેણે પોતાની સમઝબૂઝથી પૂરી જિંદગી દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું છે. ખડગેજીએ કેવળ ગુજરાત પર સામાન્ય ટિપ્પણી નથી કરી, આ સમજી-વિચારીને કરેલું અપમાન છે. સાડાછ કરોડ ગુજરાતવાસીઓને તેમણે નિશાન બનાવ્યા છે. જે પાર્ટી ગુજરાતમાં જીતી શકતી નથી એ ગુજરાતને કોસતી રહી છે. દેશની જનતા જરૂરથી સુનિશ્ચિત કરશે કે તમે જિંદગીભર વિપક્ષમાં રહેશો અને ધીરે-ધીરે આપ વિપક્ષને લાયક નહીં રહેશો, અગર તમારો રવૈયો દેશને તોડવાવાળો રહ્યો તો.’
હર્ષ સંઘવીએ મલ્લિકાર્જુન ખડગેને પ્રશ્ન કરતાં કહ્યું હતું કે ‘શું આ તમારું વ્યક્તિગત બયાન છે? તમને રાહુલ ગાંધીએ લખીને આપ્યું છે? કે ગુજકાત કૉન્ગ્રેસના નેતાઓએ લખીને આપ્યું છે જે ગુજરાતમાં આવનારી ચૂંટણીમાં હાર જોઈ ગયા છે? ખડગેજી, ગુજરાતની જનતા તમારા પાસે જવાબ માગે છે. ગુજરાતની જનતા કૉન્ગ્રેસનો હિસાબ કરશે, ગુજરાતની જનતા તમને માફ નહીં કરે.’
