ધોધમાં ડૂબેલી કચ્છી કૉલેજિયનનો મૃતદેહ ત્રીજા દિવસે હાથ લાગ્યો
નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં આવેલા પાંડવકડા ધોધમાં વહી ગયેલી નવી મુંબઈની કચ્છી કૉલેજિયન યુવતીનો મૃતદેહ ત્રણ દિવસ બાદ સોમવારે બપોરે સીવૂડના દરિયાકિનારેથી મળી આવ્યો હતો. ખાડી કિનારે કામ કરી રહેલા મજૂરોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ૧૮ વર્ષની મૃતક કૉલેજિયન નેહા પ્રતીક ડામાના પરિવારજનોને ઘટના સ્થળે બોલાવીને એની ઓળખ કરી હતી. નેહાનો ત્રણ દિવસથી પત્તો ન લાગતો હોવાથી પરેશાન તેના પરિવારજનો બપોરે નવી મુંબઈ પોલીસ કમિશનરની ઑફિસમાં ગયા હતા ત્યારે મૃતદેહ મળ્યાના સમાચાર એમને મળ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ ભાનુશાળી સમાજની નેહા ડામા નેરુળમાં આવેલી એસઆઈઈએસ કૉલેજમાં બી.કૉમ.ના પહેલા વર્ષમાં ભણતી હતી. શનિવારે સવારે એ કૉલેજમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ એની ત્રણ કૉલેજ ફ્રેન્ડ સાથે આરતી નાયર, શ્વેતા નંદ અને શ્વેતા જૈન સાથે વરસાદની મજા માણવા પાંડવકડા ધોધમાં નાહવા ગઈ હતી. અચાનક પાણીનું વહેણ વધવાથી ચારેય તણાઈ ગઈ હતી. બાકીના ત્રણેયના મૃતદેહ પોલીસ અને ફાયરબ્રિગેડે બહાર કાઢ્યા હતા, પણ નેહાનો પત્તો નહોતો લાગ્યો.
ADVERTISEMENT
નેહાના એક પિતરાઈ ભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નેહા શનિવારે સવારે ધોધમાં વહી ગયા બાદથી અમે બધા ખૂબ ટેન્શનમાં હતા. તેની મિત્રોના મૃતદેહ હાથ લાગ્યા હતા, પણ નેહાનો પત્તો નહોતો લાગતો એટલે એ જીવે છે કે કેમ? જો એ પાણીમાં ડૂબી ગઈ હોય તો મૃતદેહ કેમ હાથ નથી લાગતો એની ચિંતા અમને સતાવતી હતી. અમે સતત પોલીસના સંપર્કમાં રહીને નેહાના સમાચાર મેળવતા હતા.’ પાંડવકડા ધોધ અને સીવૂડના દરિયાકિનારા વચ્ચે ત્રણેક કિલોમીટરનું અંતર છે. પોલીસે નેહાના પરિવારજનોને કહ્યું હતું કે, પાણીના વહેણમાં તણાઈને એ તળોજા અથવા સીવૂડ તરફ જઈ શકે. આથી જો એ વચ્ચે નાળામાં કોઈ જગ્યાએ અટવાશે નહીં તો અહીંથી જ પત્તો લાગશે. પોલીસનો અંદાજ સાચો ઠર્યો હતો.
આ પણ વાંચો: PoK જમ્મુ-કાશ્મીરનો ભાગ, તેના માટે જીવ આપીશું:અમિત શાહ
સોમવારે બપોરે એકાદ વાગ્યે સીવૂડના દરિયાકિનારે નેહાનો મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. નેહાના પિતા પ્રતીકભાઈ ટ્રાન્સપોર્ટનું કામકાજ કરે છે. નેહાને એક નાની બહેન છે. શનિવારે સવારે કૉલેજમાં જવાનું કહીને ગયા બાદ એ ક્યારેય પાછી નહીં આવે એવી કોઈને કલ્પના નહોતી. એ ભણવામાં ખૂબ હોંશિયાર હોવાનું જાણવા મળ્યું હતું. કચ્છ-નલિયાના મૂળ વતની ભાનુશાળી સમાજની નેહાનો મૃતદેહ ત્રણ દિવસ બાદ મળવાથી એનું પોસ્ટમોર્ટમ કરીને મોડી સાંજે એના અંતિમસંસ્કાર કરાયા હોવાનું જાણવા મળ્યું હતું.