રાજ્યમાં કોરોના કેસ 14 દિવસમાં થયા બમણા, મરણાંકનો દર ઘટ્યો
પ્રતીકાત્મક તસવીર
કોવિડ-19ના દર્દીઓની સંખ્યા તો વધી રહી છે. દર્દીઓ બમણા થવાનો સમય જે પહેલાં લાગતો હતો એ હવે વધ્યો છે. કોવિડ-19ના દર્દીઓની સંખ્યા બમણી થવાનો આંક હવે ૧૪ દિવસ જેવો થયો છે. આ સાથે ડેથ રેટમાં પણ ઘટાડો થયો છે. ચીફ સેક્રેટરી અજૉય મેહતાના જણાવ્યા અનુસાર કોવિડ-19ના દર્દીઓની સંખ્યાના વધતા જતા દરને અંકુશમાં લેવામાં અમે સફળતા મેળવી છે. હવે ૧૪ દિવસમાં દર્દીઓ બમણા થવાનો આંકડો સામે આવ્યો છે. આ અગાઉ માત્ર ત્રણ દિવસમાં દર્દીઓ બમણા થતા હતા. મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા ૧૭૯૨ જેટલી છે જ્યારે પૉઝિટિવ દર્દીઓ ૫૪,૭૫૮ જેટલા થયા છે.
મંગળવારે યોજાયેલી આ ઑનલાઇન પ્રેસ કૉન્ફરન્સમાં અજૉય મેહતા સાથે હેલ્થ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી પ્રદીપ વ્યાસ અને બીએમસીના કમિશનર આઇ. એસ. ચહલ પણ ઉપસ્થિત હતા.
અજૉય મેહતાએ કહ્યું હતું કે વાઇરસને માત આપો. આ મિશન મુંબઈમાં લાગુ કરવામાં આવ્યું છે. શહેરમાં ૭૫,૦૦૦ જેટલા બેડની કૅપેસિટી પણ વધારવામાં આવી છે. નવી ૨૭ લૅબોરેટરી શરૂ કરવામાં આવી છે. કોવિડ-19ના કારણે ડેથ રેટ હવે ૩.૨ ટકાથી ઘટીને ૩ ટકા થયો છે.