બૅન્ક માનહાનિ મામલોઃઆજે અમદાવાદ કોર્ટમાં રાહુલ ગાંધીને હાજર રહેવું પડશે
રાહુલ ગાંધી
લોકસભામાં મળેલી હાર બાદથી જ કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તેમને એક બાદ એક દેશની અલગ-અલગ કોર્ટમાં હાજર થવું પડી રહ્યું છે. અમદાવાદમાં આ મામલો એક બૅન્ક અને એના ચૅરમૅનની માનહાનિનો સામે આવ્યો છે જેમાં રાહુલ ગાંધીને ૧૨ જુલાઈએ અમદાવાદની કોર્ટમાં રજૂ થવાનું છે.
અમદાવાદની સ્થાનિક કોર્ટે રાહુલ ગાંધીને તેમના દ્વારા નોટબંધી દરમિયાન આપવામાં આવેલા એક નિવેદનને લઈને નોંધાયેલા માનહાનિ કેસમાં કોર્ટ સમક્ષ ૧૨ જુલાઈએ રજૂ થવાના નિર્દેશ આપ્યા છે. ગુજરાત કૉન્ગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાનું કહેવું છે કે રાહુલ ગાંધી આ મહિનાની ૧૨ તારીખે અમદાવાદની સ્થાનિક કોર્ટમાં હાજર થશે.
ADVERTISEMENT
કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અમદાવાદ જિલ્લા સહકારી બૅન્કના ચૅરમૅન અજય પટેલે માનહાનિની ફરિયાદ કરી હતી. આપને જણાવી દઈએ કે નોટબંધી દરમિયાન રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલાએ એડીસી બૅન્ક પર ૭૪૫ કરોડ રૂપિયાના બ્લૅક મનીને વાઇટ કરવાનો આરોપ લગાવ્યો હતો, જેને લઈને ગયા વર્ષે અરજીકર્તાઓએ માનહાનિનો કેસ કર્યો હતો.
આ પણ વાંચો : જય જવાન, જય કિસાનના નારા સાથે રજૂ કરવામાં આવેલું દેવામાફીનું બિલ નામંજૂર
માનહાનિના કેસના મામલે કોર્ટે એપ્રિલમાં સુનાવણી કરી હતી અને ત્યારે કોર્ટે રાહુલ ગાંધીને ૨૭ મેએ રજૂ થવાના આદેશ આપ્યા હતા, પરંતુ રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાંપાનેરીએ અપીલ કરતાં કોર્ટને કહ્યું કે રાહુલ ગાંધી ૨૭ મેના દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને શ્રદ્ધાંજલિ આપવા માટે શાંતિવન જશે. એટલા માટે તેમણે કોર્ટને વધારે સમય આપવા રજૂઆત કરી હતી, જેને કોર્ટે સ્વીકારતાં રાહુલ અને સુરજેવાલાને ૧૨ જુલાઈએ કોર્ટ સામે રજૂ થવા માટે આદેશ આપ્યા હતા.